શ્રી રામ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રમોદ મુથાલિકે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના કાર્યક્રમમાં મહિલાઓની સુરક્ષા માટે ‘ઘરમાં તલવારો રાખવા’ની વાત કરી હતી. તેમણે કહ્યું કે માત્ર નારા લગાવવાથી કામ નહીં ચાલે.
ગુરુવારે કર્ણાટકના યદરાવી ખાતે સ્વામી વિવેકાનંદ જયંતિ કાર્યક્રમને સંબોધતા મુથાલિકે કહ્યું, “મહિલાઓની સુરક્ષા માટે દરેક વ્યક્તિએ ઘરમાં તલવાર રાખવી જોઈએ. તેમને એવી રીતે રાખવી જોઈએ કે તેઓ ઘરમાં આવતા-જતા લોકોને સામે જ દેખાય.”
મુથાલિકે વધુમાં કહ્યું હતું કે “ઘરમાં તલવાર રાખવી એ સજાપાત્ર નથી, પોલીસ લોકોના ઘરમાં તલવાર રાખવા માટે કેસ નોંધી શકતી નથી.” તેમણે વધુમાં કહ્યું કે તેનો હેતુ શસ્ત્રો પ્રદર્શિત કરવાનો નથી પરંતુ મહિલાઓની સુરક્ષા કરવાનો છે.
તેમણે કહ્યું, “તમે લોકો જે કરો છો તે આયુધ (શસ્ત્ર) પૂજા નથી, આયુધ પૂજા એટલે તલવાર, ત્રિશુલ, ચાકુ અને કુહાડીની પૂજા કરવી છે. આગામી આયુધ પૂજામાં તમારે બધાએ પોતાના ઘરે શસ્ત્રો લાવવાના છે.” તેમ તેમણે વધુમાં પૂછ્યું હતું કે ‘ટ્રેક્ટર, પુસ્તક કે કલમની પૂજા કરવાને બદલે તલવારની પૂજા કરવી જોઈએ. પોલીસ એફઆઈઆર બુકની પૂજા નથી કરતી પણ પોલીસ સ્ટેશનમાં બંદૂકની પૂજા કરે છે. તો શા માટે આપણે આપણા ઘરોમાં તલવારોની પૂજા નથી કરતા?’
શાક કાપવાના ચાકુ ધારદાર રાખો: સાધ્વી પ્રજ્ઞા ઠાકુર
આ પહેલા ભોપાલના બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે એક સભાને સંબોધતા કહ્યું હતું કે, “ઘરે શાકભાજી કાપવા માટે ચાકુ ધારદાર રાખો. ખબર નહીં ક્યારે જરૂર પડી જાય.” સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, ‘લવ જેહાદ કરનારાઓને લવ જેહાદ જેવો જવાબ આપો. તમારી છોકરીઓને સુરક્ષિત રાખો અને તમારી છોકરીઓને શિક્ષિત કરો. તમારા ઘરમાં હથિયાર રાખો. જો બીજું કંઈ નહીં, તો શાક કાપવાનું ચાકુ ધારદાર રાખો. સ્પષ્ટ કહી રહી છું, આપણા ઘરોમાં પણ હથિયાર ધારદાર હોવું જોઈએ.’