કારેલી ગામે વનમંત્રી મુકેશભાઈ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત આવાસોની મુલાકાત લઈ જાતનિરિક્ષણ કર્યું
ટકારમાં : વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના કારેલી ગામમાં રૂ.૨.૩૫ કરોડના ખર્ચે કારેલીથી સેગપુરને જોડતા નવનિર્મિત રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીમુકેશ પટેલે કારેલીગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા નવનિર્મિત આવાસોની મુલાકાત લઈ આવાસોનું જાતનિરિક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નાના અને અંતરિયાળ ગામોમાં પણ અનેકવિધ વિકાસકામોની સાથોસાથ પાકા રોડ રસ્તાની સુવિધા ઉભી કરી છે. ભુતકાળની સરકારમાં વિકાસકામોના નામે માત્ર હેન્ડ પમ્પ અને પાણીના ટેન્કર આપવામાં આવતા હતાં. આજે રાજ્ય સરકારે શિક્ષણ, સ્વાસ્થ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અને પશુપાલન જેવા અનેક ક્ષેત્રોમાં કરોડો રૂપિયાના વિકાસકામો ઝડપભેર સાકાર કર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગામના સરપંચો અને સભ્યોને જનસેવા કરવાની તક મળી છે, ત્યારે ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ મળે તે દિશામાં વધુ કાર્યશીલ બનવા અંગે ભાર મૂક્યો હતો.
કારેલી ગામે રસ્તાનું લોકાર્પણ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિ તરીકે જનસેવાની ભાવના સાથે મારી રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ ઓલપાડ તાલુકાના ગ્રામજનોની લાગણી અને માંગણીના આધારે અનેકવિધ વિકાસકામો પૂર્ણ કર્યા છે. આગામી સમયમાં પણ વિકાસની ગતિને વધુ તેજ કરવાની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખશ્રી બ્રિજેશ પટેલ, મહામંત્રીશ્રી કુલદીપભાઈ, સરપંચશ્રી રાકેશભાઈ રાઠોડ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
તસ્વીર : મહેન્દ્રસિંહ માંગરોલા-ઓલપાડ