વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી
શ્રી દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દિગેન્દ્રનગરમાં સ્વ.પ્રમુખશ્રી પ્રફુલભાઈ જે.પટેલની પુણ્યતિથિ નિમિત્તે રંગ કસુંબલ ડાયરો શાળાના વિશાળ પટાંગણમાં તારીખ ૨૧-૦૧-૨૦૨૩ ને શનિવારે રાત્રે યોજાયો હતો. શ્રી દિ.વિ.કે.મંડળના પ્રમુખશ્રી કિરણભાઈ પટેલે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરી શાળાના રીનોવેશન તથા હોસ્ટેલના મકાન બાંધકામ માટે ઉદાર હાથે દાન આપવા દાતાઓને ટહેલ નાંખી હતી અને દિગ્ગજ કલાકારોનું પુષ્પગુચ્છ અને શાલ દ્વારા સ્વાગત કર્યું હતું. શાળાના વિકાસ માટે હરહંમેશ તત્પર એવા ઉપપ્રમુખશ્રી પ્રમોદરાય દેસાઈનો 63 વર્ષથી શ્રેષ્ઠ શિક્ષણ આપતી શાળા માટે અમૂલ્ય ફાળો રહ્યો છે. પ્રમોદકાકા નાતંદુરસ્ત તબિયત હોવા છતાં ડાયરામાં હાજર રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી હર્ષદસિંહ સી. પરમાર સાહેબે પોતાના વક્તવ્યમાં સ્વ.પ્રફુલકાકાના સ્વપ્નને સાકાર કરવા માટે વાલીઓ અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળાના રીનોવેશન અને છાત્રાલયના નવા મકાનના બાંધકામ માટે ઉદાર હાથે દાન આપવાની ટહેલ નાખી હતી અને જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોવા છતાં શાળાના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષા અને રાષ્ટ્રકક્ષા સુધી શાળાનું નામ રોશન કરેલ છે. શાળાના ટ્રસ્ટીશ્રી રણજીતસિંહ એફ. દેસાઈએ ડાયરાના દિગજ્જ કલાકારોનો પરિચય આપી ઉદાર હાથે દાન આપનાર દાતાઓની જાહેરાત કરી હતી. તેમજ રજવાડી એમ્પોરિયમ વલસાડના શ્રી ધરમશીભાઈએ ગ્રામ્યવિસ્તારમાં આવેલી આ શૈક્ષણિક સંસ્થા માટે દાન આપવાની ટહેલ કરી હતી. ડાયરાના કલાકારો શ્રી ભરતદાન ગઢવી, શ્રી જીતુદાન ગઢવી, શ્રી હરેશદાન સુરૂ, શ્રી અનુભા ગઢવી, તથા અમદાવાદની કોકીલ કંઠી ગાયિકા શ્રીમતી નૈયાબેન પટેલે સૌરાષ્ટ્રના લોક સાહિત્યનું રસપાન કરાવ્યું હતું. જેમાં શૌયર્ગીતો અને ચારણી સાહિત્યની રમઝટે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ડાયરામાં સાહિત્ય રસિકો અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી તથા દાતાઓએ ઉદાર હાથે દાન આપી ડાયરાને સફળ બનાવ્યો હતો.જિલ્લા પંચાયત સભ્ય શ્રી પ્રકાશભાઈ પટેલે પોતાના ભંડોળમાંથી શાળાને ત્રણ લાખ રૂપિયા ફાળવી કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.મંડળના મંત્રીશ્રી સુમંતરાય દેસાઈએ શાળાના આચાર્યશ્રી,સ્ટાફ તથા મંડળના સભ્યોને ડાયરાના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.ટ્રસ્ટીશ્રીડૉ. પ્રદીપભાઈ ગરાસિયાએ સૌ મહેમાનો,કલાકારો,ગ્રામજનો અને વિશેષ સૌ દાતાઓનો આભારવ્યક્ત કર્યો હતો.