JETPURRAJKOT

ગૌમાતાઓના નિભાવ માટે અંદાજિત પાંચ કરોડની સહાય ચુકવતા જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ

તા.૩૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ અનુસાર ગાય એ માનવજીવન માટે અત્યંત આવશ્યક અને પુજનીય પ્રાણી છે. હિન્દુ ધર્મના લોકો ગાયમાં તેત્રીસ કોટિ દેવતાઓનો વાસ હોવાનું માને છે. આમ પણ ગાયના દુધ, દહીં, છાશ, માખણ, ઘી સૌથી વધુ પૌષ્ટિક, શ્રેષ્ઠ અને સંપૂર્ણ આહાર પુરવાર થયેલ છે. તદઉપરાંત તેના મળમુત્ર અને છાણ પણ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર હોવાથી ગાયને કામધેનું પણ કહેવાય છે.

પ્રાચીન સમયમાં સોનારૂપા સાથે ગાયોનું દાન ખૂબ મહત્વપૂર્ણ ગણાતું હતું. ઘરમાં ગાયોની સંખ્યા સમૃધ્ધિનું પ્રતીક મનાતી હતી. ઘરમાં પોતીકો કુવો, આંગણામાં તુલસી અને પીપળાનું વૃક્ષ તથા આંગણે ગાયનું હોવું ઘરની પવિત્રતામાં વૃધ્ધિજનક મનાતું હતું. આમ ગાય એ પુરાતન કાળથી જ માનવ જીવન સાથે જોડાયેલ અભિન્ન અંગ છે.

વર્તમાન સમયમાં ગુજરાત સરકારે અભિનવ અભિગમ અપનાવી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરીને સમગ્ર દેશમાં એક નવી પહેલ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી જેનો શુભારંભ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના શુભ અવસર પર આદ્યશક્તિ ધામ અંબાજી ખાતેથી કરાવ્યો હતો. આ યોજના હેઠળ, ગાયોની જાળવણી માટે પહેલેથી જ ખોલેલી ગૌશાળાઓ અને પાંજરાપોળને અથવા નવી ગૌશાળા ખોલવા પર સંચાલકને પશુ દીઠ પ્રતિ દિન ૩૦ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. જેનાથી ગૌશાળાઓમાં આરોગ્ય સેવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. અને ગાયોને અપાતા ખોરાક-પાણી-સારવારનું સુદ્ઢ સંચાલન કરીને ગાયોનું સંરક્ષણ અને સંવર્ધન કરી શકાશે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાના સંચાલન માટે સરકાર દ્વારા દર વર્ષે રૂ. ૫૦૦ કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ યોજના દ્વારા વિવિધ સ્થળોએ નવી ગૌશાળાઓ ખોલવામાં આવશે, જેથી ગાય માતાને રક્ષણ મળશે.

આ યોજના થકી ગુજરાતમાં ગૌવંશના જતન અને સંવર્ધનમાં અનેક ગણો લાભ થયો છે. મુંગા પશુઓ માટે સંવેદના દાખવીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને રાજકોટના કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ આ યોજનાના ત્વરિત અમલીકરણ થકી સમગ્ર ગુજરાતમાં વધુ અને ત્વરિત લાભ આપી આગવી દિશા કંડારી છે. જે બદલ આભાર વ્યક્ત કરવા કલેકટર કચેરીએ રૂબરૂ આવેલા સિધ્ધાર્થ ગૌશાળાના હરીભાઈ પરમાર જણાવે છે કે, અમે ૧૬ વર્ષથી તરઘડીયા ચોકડી ખાતે ગૌશાળા ચલાવીએ છીએ અમે ૨૭૦ જેટલા નિરાધાર પશુઓને દાતાઓની મદદ તથા સ્વખર્ચે નિભાવી રહ્યા હતા. આવા સંજોગોમાં એક સમયે ગૌશાળા બંધ કરવી પડે તેવી હાલતમાં હતી પરંતુ રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના થકી અમારી ગૌશાળાની ગાયો માટે રૂ. ૬,૭૬,૨૦૦ ની સહાય મળી છે. જે અમારી સંસ્થાની ગાય માતાઓના નિભાવ ખર્ચ માટે ખૂબ મદદરૂપ થશે.

 

આ મદદ બદલ તેમણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ અને જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુનો તેમજ આ યોજનાનો લાભ લેવા માટે માહિતી પુરી પાડનાર તેમજ જરૂરી પ્રક્રિયાઓ પુર્ણ કરવામાં સાથ આપનાર એનિમલ હેલ્પલાઇનના અગ્રણી શ્રી મિતલભાઇ ખેતાણી અને પ્રતિકભાઇ સંધાણીનો આભાર વ્યકત કર્યો હતો.

અન્ય એક લાભાર્થીશ્રી દેવુબેન વાલજીભાઈ મકવાણાએ કહ્યું હતું કે, કાળીપાટ ગામ પાસે અંદરના સીમ વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષથી નિરાધાર પશુઓ માટે હું એકલા હાથે ગૌશાળા ચલાવું છું. મારી ગૌશાળા સીમ વિસ્તારમાં હોવાથી પાણી-ઘાસચારો અને જરૂરી સારવારની સમસ્યાઓ હતી. રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના થકી અમારી કરુણા ગૌશાળા પ્રત્યે કરુણા દાખવીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કલેક્ટરશ્રી દ્વારા અમોને રૂ ૧૬,૬૯,૮૦૦ જેટલી રકમ ચૂકવવામાં આવી છે. જેથી અમારા ૬૫૦ જેટલા પશુધન માટે ઘાસચારો પાણી અને સ્વાસ્થ્યની સુવિધા ઉપલબ્ધ કરાવી શકશું.

આ અંગે વધુ વિગતો આપતા પશુપાલન અધિકારી ડો. ખાનપરાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત બે રીતે સહાય ચુકવવામાં આવે છે. એક હજારથી ઓછું પશુધન ધરાવતી ગૌશાળાઓને જિલ્લા કક્ષાએથી અને એક હજારથી વધુ પશુધન ધરાવતી સંસ્થાઓને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયત દ્વારા ૭૩ સંસ્થાના ૯૫૨૪ પશુઓ માટે દૈનિક રૂપિયા ૩૦ લેખે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર માસના ૯૨ દિવસના રૂ. ૨,૬૨,૮૬,૨૪૦/- રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. આવી જ રીતે અન્ય પાંચ સંસ્થાઓ પાસે ૯,૬૦૩ જેટલું પશુધન છે અને તેમને રાજ્યકક્ષાએથી ૨,૬૫,૦૪,૨૮૦/- રૂપિયાની ચુકવણી કરવામાં આવશે.

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગૌશાળાઓ અને પાંજરાપોળની રખડતી ગાયો અને તેમના વાછરડાંઓની જાળવણી માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજના થકી રસ્તાઓ પર રખડતી રખડતી ગાયોને રક્ષણ અને સુરક્ષા મળશે અને સાથે સાથે સામાન્ય જનતાને પણ રખડતી ગાયોથી થતા નુકસાનથી બચાવી શકાશે. ગૌ માતા પોષણ યોજના ગુજરાત ૨૦૨૩ નો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને રખડતી ગાયોને અકસ્માત, રોગ અને શારીરિક વેદનાથી બચાવવાનો છે.

આ સહાય માટે અરજી કરવા માટેની લાયકાતમાં જોઇએ તો અરજદાર પશુપાલકો ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ. અગાઉ ખોલેલી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો પણ આ યોજના હેઠળ અરજી કરવા પાત્ર છે.

 

યોજનાના ફાયદા ગુજરાત સરકારની આ પહેલથી રખડતી ગાયોને રક્ષણ અને પોષણ મળશે.

ગૌમાતા પોષણ યોજના ગુજરાત ૨૦૨૩ દ્વારા રાજ્યમાં નવી ગૌશાળાઓ ખોલવામાં આવશે તેમજ ગૌશાળાઓમાં આરોગ્ય સેવાઓનો ઉમેરો કરવામાં આવશે. આ યોજના દ્વારા ગાય આશ્રયસ્થાનોમાં ગાયો અને ગાયોની જાળવણી અને સંરક્ષણ માટે લોકોને નોકરી પર રાખવામાં આવશે, જેનાથી રોજગારીનું સર્જન થશે. આ ઉપરાંત ગૌશાળાઓમાં ગાયોના ખોરાક માટે યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવશે. જેથી ગાયો સ્વસ્થ રહે અને બીમાર ઓછી થાય. આમ આ યોજના થકી ખરા અર્થમાં ગૌવંશનું ગૌમાતા તરીકેનું સ્થાન સુનીશ્ચિત થઇ શકયું છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!