ઘેલા સોમનાથ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સાથે સંકળાયેલ આર્કિટેક/એજન્સીઓ/સંસ્થાઓને જોગ
તા.૧ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા ખાતે આવેલા પ્રસિધ્ધ ઘેલા સોમનાથ મંદિરમાં બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને યાત્રિકો દર્શનાર્થે આવે છે. ત્યારે સરકાર હસ્તકના ઘેલા સોમનાથ મંદિરને સુંદર પ્રવાસન સ્થળ તરીકે વિકસાવીને વધુ લોકો મંદિરની મુલાકાત લે તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ છે.
જે અન્વયે તા. ૩૧ જાન્યુઆરી,૨૦૨૩ના રોજ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જિલ્લા પ્રવાસન બેઠકમાં ઘેલા સોમનાથ મંદિર પરીસર ખાતે આવતા યાત્રિકો માટે વિવિધ ભૌતિક સુવિધઆઓનું વિસ્તરણ કરવા તથા સમગ્ર પરીસરનું બ્યુટીફિકેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંગે ઘેલા સોમનાથ મંદિરને સુંદર પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સાથે સંકળાયેલી તમામ આર્કિટેક/એજન્સીઓ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલ સંસ્થાઓને મંદિરના પરિસરની સ્થળ મુલાકાત લઈ જસદણ પ્રાંત કચેરીમાંથી જરૂરી માહિતી મેળવીને ક્યાં ક્યાં પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉભી થઈ શકે તે માટે પ્રેઝનટેશન તૈયાર કરવાનું રહેશે. આ પ્રેઝનટેશન તા. ૧૫ ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા પ્રવાસન બેઠકમાં રજુ કરવાનું રહેશે તેમ ઉપાધ્યક્ષશ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને પ્રાંત અધિકારી કચેરી – જસદણની યાદીમાં જણાવાયું છે.