વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જીલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ હૂંબાપાડા ગામે પશુપાલકનાં વાછરડીનું મારણ કરનાર ખુંખાર દીપડી આખરે પાંજરે પુરાતા આસપાસનાં ગામડાનાં જનજીવને રાહતનો શ્વાસ લીધો….પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં દિન પ્રતિ દિન દીપડાઓની ચહલપહલ વધવાની સાથે માનવ અને પાલતુ પશુઓ પર હુમલાઓ વધી ગયા છે.થોડા સમય પૂર્વે ડાંગ જિલ્લાનાં આહવા અને બોન્ડારમાળ ગામે ખુંખાર દીપડાએ ચાર વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવ્યા હતા.તેવામાં થોડા દિવસ પૂર્વે ડાંગ દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ શામગહાન રેંજમાં લાગુ હૂંબાપાડા ગામે ત્રણેક દીવસથી ખુંખાર દીપડીએ આંટા ફેરા મારી અહી પશુપાલક નામે મહેશભાઈ લક્ષમણભાઈ ભોયેની બે ગાય પર હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવી હતી.જ્યારે એક વર્ષની વાછરડીનું મારણ કર્યુ હતુ. જેથી ભયભીત બનેલ પશુપાલક નામે મહેશભાઈ લક્ષમણ ભોયેએ ડાંગ દક્ષિણ વન વિભાગની શામગહાન રેંજમાં અરજી આપી હતી.જેથી શામગહાન રેંજ વિભાગનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછીએ તુરંત જ હૂંબાપાડા ગામ વિસ્તારમાં પાંજરા ગોઠવી દીધા હતા.આ ખુંખાર દીપડી આજરોજ ફરી શિકારની શોધમાં હૂંબાપાડા ગામમાં આવતા વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પાંજરાનાં છટકામાં ફસાઈ જતા આસપાસનાં ગામડાનાં જનજીવને રાહતનો શ્વાસ લીધો હતો.હાલમાં શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછીએ આ ખુંખાર દીપડીનો કબ્જો મેળવી દૂરનાં જંગલ વિસ્તારમાં છોડવાની કવાયત હાથ ધરી છે…