સાવલી ખાતે રાજ્ય પ્રા. સંઘની સંકલન બેઠક યોજાઇ
—————————— ———-
વડોદરા તા. ૧૩
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક સમિતિની બેઠક વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે મળી હતી. પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ આ સંકલન બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના પ્રમુખ, મહામંત્રી અને રાજ્યસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લામાંથી પ્રમુખ નયનસિંહ જાડેજા, રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા તથા શિક્ષક અગ્રણી જટુભા રાઠોડ સંકલન બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં આગામી ૧૩ મે થી ૨૧ મે દરમ્યાન રાજ્યના બે લાખ પ્રાથમિક શિક્ષકોના કલ્યાણ અર્થે ગાંધીનગર મુકામે પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને યોજાનાર કથાના આયોજન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. રાજ્યના પ્રાથમિક શિક્ષકોના બાકી પડતર પ્રશ્નો જેવા કે ૧/૪/૨૦૦૫ પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા, સી.પી.એસ. ફાળો ૧૦ % સામે ૧૪ % કરવા, ૨ વર્ષ બાદ વિદ્યાસહાયકોને નિવૃત્તિની ખાલી જગ્યાઓ પર નિયમિત પગારમાં સમાવવા, એકમ કસોટીઓનું ભારણ ઘટાડવા, શિક્ષકોના બદલી કેમ્પ સત્વરે યોજવા સહિતના પ્રશ્નો ચર્ચાયા હતા અને આ પ્રશ્નો હાલ ક્યા સ્ટેજે છે તેની વિગતો અપાઈ હતી અને આ પ્રશ્નોનું ટૂંક સમયમાં નિવારણ આવશે તેવી ખાતરી અપાઈ હતી. આ સાથે કર્મચારીઓના મુખ્ય પ્રશ્ન એવા જૂની પેન્શન યોજના માટે આગામી ૫ સપ્ટેમ્બર થી ૫ ઓકટોબર દરમિયાન સમગ્ર દેશમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ યોજાનાર ઝોન વાઈઝ રથયાત્રાની વિગતો અપાઈ હતી. ગુજરાતની રથયાત્રા સોમનાથ થી શરૂ થઈ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા થઈ દિલ્હી જશે. આવી રીતે ૪ ઝોનમાં યોજાનાર રથયાત્રામાં દેશના તમામ રાજ્યો આવરી લેવામાં આવશે. જૂની પેન્શન યોજના માટે તાજેતરમાં દિલ્હી મૂકામે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દેશના તમામ સાંસદોને આવેદનપત્ર પણ અપાયું હતું. ૧૧ મે થી ૧૩ મે દરમ્યાન અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું ૨૯ મું દ્વિ વાર્ષિક ત્રિ દિવસીય અધિવેશન પ્રથમ વખત ગુજરાતમાં ગાંધીનગર ખાતે યોજાનાર હોઇ શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અધિવેશનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પણ આમંત્રણ અપાયું છે. આ સાથે ગાંધીનગર ખાતે ઓલ ઈન્ડિયા પ્રાયમરી ટીચર્સની કારોબારી પ્રમુખ રામપાલસિંહની અધ્યક્ષતામાં મળશે જેમાં દેશભરમાંથી ૩૦૦ જેટલા કારોબારી સભ્યો હાજર રહેશે તેમની સાથે ગુજરાત રાજ્યના હોદ્દેદારોની સંકલન બેઠક પણ યોજાનાર છે. સાવલી ખાતેની સંકલન સભામાં સિ. કાર્યાધ્યક્ષ ગોકુળ પટેલ, કોષાધ્યક્ષ રણજિતસિંહ પરમાર, સિ. ઉપપ્રમુખ બચુભાઈ વસાવા, સિ. મંત્રી પ્રભાતસિંહ ખાંટ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને સાવલી તાલુકા શિક્ષક મંડળીના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.