DHRANGADHRASURENDRANAGAR

સુરેન્દ્રનગરનાં પ્રગતિશીલ ખેડૂત મધની ખેતી કરી વાર્ષિક રૂ.15 લાખની કમાણી.

તા.26/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સરસ મેળો -૨૦૨૩ માં માત્ર 5 દિવસમાં જ રૂપિયા 35,000 થી વધુનાં મધનું વેચાણ

ધરતીપુત્ર સુખી અને સમૃદ્ધ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખેડૂતોની આવક બમણી કરવાનાં સંકલ્પ અંતર્ગત ખેડૂતોને નાણાકીય સહાય આપતી સંખ્યાબંધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. નાણાકીય સહાય ઉપરાંત કૃષિમાં નવા સંશોધનો અને તકનીકનો ઉપયોગ કરી ઉત્પાદન વધારવા માટે વિવિધ નવીન કૃષિ પદ્ધતિઓ અને સુધારાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે પણ સરકારશ્રી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે જેનાં પરિણામે અનેક ખેડૂતો ઉત્પાદન વધારી પોતાની આવકમાં વૃદ્ધિ કરી રહ્યા છે. એવા જ એક ખેડૂત છે ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામનાં ભરતભાઈ ડેડાણીયા કે જે સરકારની સહાયતાથી મધ ઉછેર કેન્દ્ર શરૂ કરી પોતાની આવકમાં મોટો વધારો કરી શક્યા છે. ભરતભાઈ પહેલા ખેતીમાં વિવિધ પાકો દ્વારા આવક મેળવતા હતા પરંતુ તેમને મળતી આવકથી તેઓને સંતોષ નહોતો અને મનમાં ખેતી ક્ષેત્રે કંઈક નવું કરવાનો ઉત્સાહ હતો.ગામમાં મધની પેટીની અવર-જવર જોતા તેઓને મધની ખેતી કરવાનો વિચાર આવ્યો અને તેમને મધ ફાર્મની મુલાકાત લીધી. મધની ખેતી કરવા માટે તેમણે એક મિત્ર પાસેથી જ માહિતી મેળવી હતી. ત્યારબાદ ખાદી ગ્રામ ઉધોગ -અમદાવાદ ખાતેથી ભરતભાઈએ એક વર્ષ મધ ઉછેરની વિશદ તાલીમ લીધી હતી.તાલીમ લીધા બાદ ભરતભાઈએ શરૂઆતમાં જ 50 પેટી મધ ઉછેર કર્યું હતું. મધ ઉછેર કેન્દ્ર માટે સરકાર તરફથી 50% સબસિડી મળવાપાત્ર છે તેમણે આ માટે માહિતી બાગાયત વિભાગ પાસેથી મળી હતી. અરજી કરતાં તેમને રૂ.એક લાખ ત્રીસ હજારની સહાય આપવામાં આવી હતી. સતત પાંચ વર્ષની મહેનત બાદ ભરતભાઈ હાલમાં 400 પેટી મધ ઉછેર કરી રહ્યા છે.એક પેટીની બજાર કિંમત 5000 રૂપિયા છે. પ્રથમ વર્ષે 150 કિલો મધનું ઉત્પાદન મેળવ્યું હતું.હાલ વધીને વાર્ષિક 1200 કિલો કરતાં પણ વધુ થયું છે. જેના પગલે તેવો વાર્ષિક અંદાજિત રૂ. 15 લાખ જેટલી કમાણી કરી રહ્યા છે.ભરતભાઈ જણાવે છે કે સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે મધની ખેતી માટે પણ સરકાર ખેડૂતોને સબસિડી આપી રહી છે. મેં ચાર વર્ષ પહેલા ખેડૂત તરીકે ગ્રામ ઉદ્યોગ કેન્દ્ર – અમદાવાદ ખાતે મધ ઉછેરની તાલીમ લીધી હતી. મારા પત્ની પણ આ ખેતીમાં મને મદદ કરી રહ્યા છે. જેના કારણે હું અને મારો પરિવાર આત્મનિર્ભર બન્યા છીએ. પાંચ વર્ષ પહેલા કરેલી શરૂઆત આજે બિઝનેસનું રૂપ લઈ ચુકી છે અને ‘રામ રસ હની ‘ નામક બ્રાન્ડથી રાજ્ય અને રાજ્ય બહાર પણ શુદ્ધ મધનું વેચાણ કરવામાં આવે છે.સરસ મેળો, મિશન મંગલમ યોજના દ્વારા આયોજિત વિવિધ વેચાણ સ્ટોલ દ્વારા સરળતાથી મધનું વેચાણ ભરતભાઈના પત્ની જનકબેન પણ મધના વ્યવસાય સાથે જોડાયેલા છે. મિશન મંગલમ યોજના અંતર્ગત રામ રસ હની સ્વસહાય જૂથ નામથી સખી મંડળ શરૂ કરી જનકબેન પોતે તો આર્થિક ઉપાર્જન કરે છે સાથે અન્ય મહિલાઓને પણ પગભેર થવામાં મદદરૂપ થઈ રહ્યા છે. સખી મંડળ સાથે જનક બેન પણ જોડાયેલા છે. જનકબેન ‘સરસ મેળો’ ઉપરાંત સરકારી વેચાણ કેન્દ્રો પરથી મધનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે. ભરતભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રથમ મધ ઉત્પાદન કરતા ખેડૂત છે. આથી તેઓને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત તાલુકાના બેસ્ટ ખેડૂતનો એવાર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત રૂ.10,000 નો ચેક પણ આપવામાં આવ્યો હતો. ભરતભાઈ હાલ માસ્ટર ટ્રેઈનર તરીકે અન્ય ખેડૂતોને ટ્રેનીંગ પણ આપી રહ્યા છે. રાજ્યના ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથોનાં ઉત્પાદનોનું પ્રદર્શન સહ – વેચાણ થાય તે માટે “સરસ મેળો 2023” નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. “આત્મનિર્ભ મહિલા, આત્મનિર્ભર ગામ” ના ઉદેશને સાર્થક કરતાં આ મેળાને લોકોનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે જનક બહેને જણાવ્યું હતું કે, અમને સરસ મેળામાં વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. અમને જણાવતા આનંદ થાય છે કે માત્ર 5 દિવસમાં રૂ. 35,000 થી વધુ રૂપિયાનું રામ રસ-મધનું વેચાણ થઈ ગયું છે.જમીનમાં ઋતુ પ્રમાણે અલગ – અલગ પાકો લેવામાં આવે છે, જેમનો રસ લેતી મધમાખીઓ દ્વારા તે અનુસાર અલગ- અલગ ફલેવરનાં મધ બનાવી શકાય છે જેમકે, અજમાં, વરિયાળી, તલ વગેરે. સામાન્યતઃ મધમાખીથી ભરેલી પેટી જમીન પર મૂકવામાં આવે છે. ઇટાલિયન મધમાખી દ્વારા અંદાજિત 20 થી 22 દિવસમાં મધ તૈયાર થઈ જાય છે.મધની પેટી મુકવાથી ત્યાં મધમાખીની અવર જવર ખુબ વધે છે આથી મધમાખીઓ પાકોના ફૂલો પર બેસે છે તથા તે પાકોમાં પરાગરજનું વહન થવાના કારણોસર પાકનો વિકાસ વધુ થાય છે. ઓર્ગેનિક જમીન પર મધની પેટી રાખવામાં આવે છે તથા અજમા,વરિયાળી તલ વગેરે ઋતુ પ્રમાણે મધનો ઉછેર કરવામાં આવે છે. તૈયાર કરેલ મધને સરસ મેળો તથા મિશન મંગલમ અંતર્ગત આયોજિત વિવિધ વેચાણ કેન્દ્રો પર ‘રામ રસ હની’ નામક બ્રાન્ડથી વેચવામાં આવે છે.ભરતભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો સરકારની મદદથી ખેતીમાં નવા પ્રયોગો કરી ‘સમૃદ્ધ ખેડૂત, સમૃદ્ધ ભારતનાં’ સપનાને સાકાર કરવામાં અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની ચૂક્યા છે.

Back to top button
error: Content is protected !!