DEVBHOOMI DWARKADWARKA

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ દરિયાઈ સુરક્ષાની કામગીરીની બેટ દ્વારકામાં સમીક્ષા કરી

ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરની દરિયાઈ પટ્ટી પર કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં: ગેરકાયદે દબાણ ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ

૦૦૦

દરિયાઈ સલામતી માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે: મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં શાંતિ- સલામતી અને સુરક્ષા માટે કડક કાર્યવાહી: ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

૦૦૦

દ્વારકા કોરિડોર અને બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ સહિતના પ્રવાસન તીર્થના વિકાસલક્ષી કાર્યો આગળ વધી રહ્યા છે

દેવભૂમિ દ્વારકા, તા.૨૮

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના એવાં બેટ દ્વારકાની રૂબરૂ મુલાકાત લઇ તંત્ર દ્વારા થયેલી ગેરકાયદે દબાણ દૂર કરવા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

    મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયા કાંઠા પર સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના અને એવા પોઇન્ટ અને તે વિસ્તારોમાં પોલીસ-રેવન્યુ ખાતાની કાર્યવાહીની સમીક્ષા પણ કરી હતી.

ઓખાથી બેટ દ્વારકા સુધીની દરિયાઈ સફર દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રિમ પ્રોજેકટ સમા નિર્માણાધીન સિગ્નેચર બ્રિજના કામનું પણ નિરીક્ષણ તેમણે કર્યું હતું.

સિગ્નેચ ર બ્રિજની કામગીરી સત્વરે પૂર્ણ કરાશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

      આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સ્થાપેલા સુરક્ષા, શાંતિ, સલામતીના મજબૂત પાયાને વધુ સુદ્રઢ રાખવા રાજ્ય સરકાર મક્કમ છે. વિકાસ કામોને આડે આવતી ગેરકાયદે દબાણ સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ આગળ વધતી અટકાવાશે અને કાયદાકીય રીતે સખ્તાઈથી દૂર કરવામાં આવશે. લોકોની સલામતી અને સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું.

સરકારી યોજનાઓના લાભ વિના અવરોધે છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે હેતુથી સરકાર દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરાઈ રહી છે, તેમ તેમેણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ગુજરાતના ૧૬૦૦ કી.મી. લાંબા દરિયાઇ પટ્ટા પર કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં. આ તમામ દરિયા કિનારાને સજ્જડ સુરક્ષિત કરવાનો નિર્ધાર છે.

આ મુલાકાત વેળાએ ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમુદ્ર તટીય વિસ્તારોની આંતરિક અને બાહ્ય સલામતી અને સુરક્ષા માટે આ કડક પગલાં લેવાઈ રહ્યા છે. ગેરકાયદેસર દબાણો પર લોકહિતમાં કાર્યવાહી કરવામાં આવી છે અને કડક પગલાં લેવામાં આવ્યા છે. દરિયાઈ પટ્ટી પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પબુભા માણેક, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય, જિલ્લા કલેક્ટર શ્રી એમ.એ.પંડ્યા, પોલીસ અધિક્ષક શ્રી નીતીશકુમાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુર ગઢવી, મહામંત્રી શ્રી યુવરાજસિંહ વાઢેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!