નર્મદા જિલ્લાના માલસામોટ ખાતે નારી કેન્દ્રની મુલાકાત કરી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ભૂમિપૂજન કરતા વિદેશ મંત્રી ડો.એસ. જયશંકર
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાતના નર્મદા જિલ્લાના બે દિવસના પ્રવાસે આવેલ કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર દ્વરા ગઇકાલે વ્યાધર, આમદલા, વાગડીયા, ભાડોદ અને મોડી સાંજે દેડીયાપાડાના માલસામોટ ખાતે સામોટ ગ્રામ પંચાયતના પટાંગણમાં રૂપિયા ૭૫ લાખના ખર્ચે તૈયાર થનાર બે સ્માર્ટ આંગણવાડી કેન્દ્રો માટે તેમની ગ્રાન્ટમાંથી નાણાં ફાળવવામાં આવશે. અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું વિદેશ મંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સામોટ ખાતે નારી સશક્તિકરણ કેન્દ્ર પણ તેમની ગ્રાન્ટમાંથી રૂા.૧ કરોડ ૯૦ લાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. નારી કેન્દ્રની રૂબરૂ જાત મુલાકાત લઇને બહેનો દ્વારા કરવામાં આવતી વણાંટ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી સીધો સંવાદ સ્થાપિત કરીને રોજગારી અંગેની વિગતો મેળવી હતી.
આ પ્રસંગે વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલા હું ગુજરાતમાંથી રાજ્ય સભાના સાંદર તરીકે ચૂંટાયો હતો. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ મને નર્મદા જિલ્લાની જવાબદારી સોંપતા નર્મદા જિલ્લાના ગ્રામીણ લોકો સાથે સંપર્ક અને કામ કરવાનો મોકો મળ્યો છે. પહેલા હું ગુજરાત આવતો ત્યારે અમદાવાદ, ગાંધીનગર સુધી સિમિત રહેતો પણ કેવડીયા અને નર્મદા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ગામો દત્તક લેતા એક સંપર્કનો સેતુ સ્થાપિત થયો અને સામોટ ગામે આવવાનું થયું. વર્ષ ૨૦૧૯ માં અહીં નારી કેન્દ્રનું ભૂમિપૂજન અને સ્થાપના થઇ ત્યારબાદ કોરોના કાળ વખતે સંપર્ક સ્થાપિત થઇ શક્યો નહીં. પણ આજે આપણે મહામારીમાંથી બહાર આવીને વિશ્વાસ અને સંપર્કની કડી પુનઃસ્થાપિત કરી શક્યા છીએ. મારા મનમાં એક જ વિચાર આવતો હતો કે, સામોટ નારી કેન્દ્રને ઉત્તમ બનાવવું, મહિલા સશક્તિકરણ અને બહેનોમાં પડેલી પ્રતિભાને બહાર લાવવી. આજે અહીં જોઇને ખુશી અને સંતોષ અનુભવું છું. હજી વધુમાં વધુ રોજગારીનું સર્જન થાય, હેપ્પી ફેસીસ ફાઉન્ડેશન દ્વારા બહેનોની વધુમાં વધુ ભાગીદારી થાય અને તેમનામાં રહેલી પ્રતિભાને બહાર લાવવાનું કામ કરે તેવો ગ્રામજનોને વિશ્વાસ આપવા માંગું છું. દરેક વખતે મારા મનમાં સામોટ ગામનું નારી કેન્દ્ર હોય છે. વિદેશમાં જઇએ ત્યારે ભારતની વાત કરવામાં આવ ત્યારે દુનિયા સામે ગુજરાતના સામોટ ગામની નારી શક્તિનું ચિત્ર, કલાને દુનિયાના લોકો સમક્ષ મૂકીશ. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી મળશે તો સારા પરિણામો મળશે. પ્રધાનમંત્રીશ્રી આ બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. આંગણવાડીના બાળકોની ચિંતા, કુપોષણ મિટાવો અભિયાન, આત્મનિર્ભર ભારતને કેન્દ્રમાં રાખીને સામોટની બે સ્માર્ટ આંગણવાડી તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ભૂમિપૂજન આજે મેં કર્યું છે. તેનો તમામ ખર્ચ મારા ફંડમાંથી આપવાનું નક્કી કર્યું છે અને તૈયાર થાય તો ફરી મને બોલાવશો તો હું આપની વચ્ચે જરૂરથી ઉદઘાટન કરવા આવીશ અને ગામના વિકાસમાં હું મદદરૂપ થઇશ