પતિ–પત્નિ સાથે પ્રેમીનું પણ ઘર તુટતુ બચાવી “અભયમે” બાળકોને બેઘર થતા બચાવ્યા
***********
વંટોળે ચડેલા બે પરીવારોને ફરી નવી રાહ ચિંધી
**********
પત્નિ અર્ધાંગીની કહેવાય છે. પરંતુ લગ્ન કર્યા બાદ બાળકની માતા બન્યા પછી પણ સમાજોમાં અનેક યુવતીઓ અગમ્ય કારણોસર અન્ય પુરૂષના પ્રેમમાં પડે છે. અમુક વાર તો બજારના નવરા પ્રેમીની છેતરપીંડીનો ભોગ પણ બનતી હોય છે. કંઇક આવો બનાવ બન્યો છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં.
કચ્છની એક મહિલા પોતાના પતિ સહિત ત્રણ બાળકો હોવા છતા પ્રાંતિજ તાલુકાના એક પુરુષના પ્રેમમાં પડે છે. અને પ્રેમી સાથે ભાગી જાય છે. આથી પરીણીતાનો પતિ અભયમને કોલ કરીને જણાવે છે કે મારી પત્નિ અમને તરછોડીને અન્ય પુરુષ સાથે ભાગી ગઈ છે. અને મારા બાળકો માતાનો વિલાપ કરી રહ્યા છે.
આ જાણ થતા જ મહિલા હેલ્પ લાઇન પ્રેમીના ઘરે જઈને પ્રેમી સાથે કાઉન્સીલિંગ કર્યું હતું. તે દરમિયાન પ્રેમીએ જણાવ્યું કે મેં આ મહિલાને મીઠી મીઠી વાતો કરીને ફોસલાવી છે. તારો પતિ ઘરડો છે. અને તુ આટલી યુવાન છે અને સુશીલ છે તેવા મસ્કા મારીને હું પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ભગાડી લાવ્યો છું.
મારે પણ એક પત્ની છે.પરંતુ મારા પરીવારજનો તેને પિયરેથી લાવતા નથી. આથી એકલવાયા જીવનથી કંટાળીને મે આ પરીણીત મહિલાને લલચાવીને ભગાડી લાવ્યો છું. આ હકીકત સામે આવતા પરીણીતાના પગ નીચેથી જમીન સરકી જાય છે. અને પોતાની ભુલનો પશ્વાતાપ કરીને પોતાના પરીવાર સાથે પરત આવી જાય છે.
ત્યારબાદ અભયમ પ્રેમીના પરીવાર સાથે પણ કાઉન્સિંલીગ કરીને પોતાની પુત્રવધુને પિયરેથી તેડી લાવવા માટે સમજાવે છે. પરીવારજનો પણ સમગ્ર ઘટનાને જાણીને પોતાના પુત્ર માટે તેની પત્નીને તેડી લાવે છે.
આમ, પતિ- પત્ની સાથે પ્રેમીનું પણ ઘર તુટતુ બચાવી વંટોળે ચડેલા બે પરીવારને ૧૮૧ અભયમે ફરી નવો માર્ગ બતાવ્યો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા