બિહારમાં ધ્વસ્ત બ્રિજ બનાવનારી કંપનીને જ દ્વારકાનો સિગ્નેચર બ્રિજનું કામ અપાયું છે
બિહારના ભાગલપુર જિલ્લાના અગુવાની-સુલતાનગંજ વચ્ચેની ગંગા નદી પર રૂ. 1,710 કરોડના ખર્ચે બની રહેલો કેબલ બ્રિજ રવિવારે ધ્વસ્ત થતાં તેની ધ્રૂજારી છેક દેવભૂમિ દ્વારકાના વહીવટીતંત્રે અનુભવી છે. કારણ કે બિહારનો એ પુલ બનાવનારી કંપનીને જ દ્વારકામાં ઓખા અને બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનાવવાનું કામ સોંપાયું છે. પુલ બનવાની તૈયારીમાં છે ત્યારે જ ભાગલપુરનો કેબલ બ્રિજ વર્ષમાં 2 વાર તૂટી પડતાં દ્વારકા જિલ્લાનું તંત્ર હલબલી ગયું છે અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવાની તૈયારી કરવા લાગ્યું છે. 960 કરોડના ખર્ચે ઓખા, બેટ-દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજના કામને વર્ષ 2017માં મંજૂરી અપાઈ હતી.
પુલ બનાવવાની શરૂઆત 19 માર્ચ, 2018માં થઈ હતી અને ઓક્ટોબર, 2023 સુધીમાં પુલ બનાવીને તૈયાર કરવાનો છે. હાલમાં પુલનું કામ 90 ટકા થઈ ગયું છે જયારે 130 મીટરનું 10 ટકા જેટલું કામ જ બાકી છે. આ પુલ બનાવનારી હરિયાણાની એસ. પી. સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડનું આ ત્રીજું મોટું કામ છે. આ પહેલાં આ કંપનીએ જમ્મુ-કાશ્મીરમાં અટલસેતુ બનાવ્યો હતો. બીજો શ્રીનગરમાં રેલવેલાઇન માટે ભારતનો પ્રથમ કેબલ બ્રિજ બનાવ્યો હતો. ત્યાર બાદ ત્રીજું કામ તેણે સિગ્નેચર બ્રિજનું રાખ્યું છે. બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ બીજી વખત ધરાશાયી થતાં દ્વારકા જિલ્લાનું વહીવટીતંત્ર પણ ખળભળી ગયું છે અને પુલની મજબૂતાઈ તથા તેની અન્ય બાબતે ચોક્સાઈ રાખી જરૂર પડ્યે થર્ડ પાર્ટી ઇન્સપેક્શન કરાવવાની પણ તૈયારી રાખી છે.
સિગ્નેચર બ્રિજ બનાવવાનું કામ અતિશય પડકારજનક હતું. ભારે હવા હોય ત્યારે કામ કરી શકાતું નહોતું. ચોમાસા દરમિયાન દરિયો તોફાની થતાં કામ બંધ કરવું પડતું હતું. દરિયામાં કરંટ વખતે પણ કામ બંધ રહેતું હતું. દરિયામાં તળિયું નીચે હોવાથી બાર્જને દૂર સુધી લઈ જવું પડતું હતું. આવી અનેક મુશ્કેલીઓને પાર કરી બ્રિજનું કામ પૂર્ણતાને આરે છે.’ > વિકાસ ઢાંઢા, એસ. પી. સિંગલા કન્સ્ટ્કશન પ્રા. લિ., બેટ દ્વારકા
962 કરોડના ખર્ચે બની રહેલો પુલ 3.13 કિ.મી.નો ફોરલેન બ્રિજ છે. 40 પિલર પર ઊભા થનારા પુલ ઉપર અઢી ફૂટની ફૂટપાથ હશે. દરિયામાં 62 મીટર ઊંડે ફાઉન્ડેશન કરવામાં આવ્યું છે. પુલની લંબાઈ કુલ 2320 મીટર છે. કેબલનું વજન 15 મેટ્રિક ટન છે. મુખ્ય ટાવરમાં 10,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. આ બ્રિજનું આયુષ્ય 100 વર્ષનું હોવાનું કહેવાયું છે.
માર્ગ-મકાન વિભાગના અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે બ્રિજ બન્યો ત્યારે તેનું રેગ્યુલર ચેકિંગ થતું જ આવે છે. અમે તેના ઉપર સતત નજર રાખી રહ્યા છીએ. બ્રિજ આખો બની ગયા બાદ તેનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ કરાવવામાં આવશે. તેમાં કોઈ કચાશ રખાશે નહીં.