વાત્સલ્યમ્ સમાચાર
દિવ્યાંગ બાળકોમાં સર્જનશીલતા ભરેલી છે, તેને ઓળખવાની જરૂર છે
દિવાળીનો તહેવાર નજીક આવતા ધુમધામથી ઉજવણીની તૈયારી થઈ રહી છે. ભારત દેશ માટે દિવાળીના તહેવારનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે, એવા સમયે સીયારામ ફાઉન્ડેશન દ્વારા મણિનગર ખાતે આવેલી મનોદિવ્યાંગ બાળકોની શાળામાં બાળકો સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવીને ભવ્ય રીતે તહેવારના આગમન ટાણે ઉજવણી કરાઈ હતી.
સીયારામ ફાઉન્ડેશનના ચેરપર્સન દિપાલી ઇનામદારે કહ્યું હતું કે, દિવાળી તહેવારનો ભારત દેશમાં દર વર્ષે ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોવાતી હોય છે. દિવાળીનો તહેવાર સૌને પવિત્ર બનવા માટેનો મોકો આપે છે અને ખરાબ છે તેને ત્યાગવાનો અવસર આપે છે. જીવનમાં પરોપકારી કાર્ય કરીને લોકોને મદદરૂપ થવું જોઈએ. દિવ્યાંગ બાળકોની અનોખી દુનિયા છે, તેઓની જિંદગીમાં આપણે સૌએ ખુશીમાં વધારો કરવો જોઈએ. દિવાળી તહેવારનું આગમન થઈ રહ્યું છે ત્યારે દિવ્યાંગ બાળકોમાં ખુશી પ્રગટી ઉઠે અને આ બાળકોમાં સાહસ કરવા માટેનાં હદયમાં દીવડા પ્રગટે તે માટે અનોખો પ્રયત્ન કર્યો હતો.
વધુમાં તેઓએ કહ્યું હતું કે દિવ્યાંગ બાળકોમાં અમૂલ્ય સર્જનશીલતા ભરેલી છે પણ તે ઓળખી શકતા નથી. પણ આ બાળકોને યોગ્ય પ્લેટફોર્મ આપવમાં આવે તો પોતાનું નામ રોશન કરી શકે તેમ છે. દિવ્યાંગ બાળકોને યોગ્ય વાતાવરણમાં ઘડતર કરવામાં આવે તો તેમાં પડેલી સર્જનશીલતા પ્રગટી શકે છે અને આપણે બધાને સહિયારો પ્રયત્ન કરવો જોઈએ કે દિવ્યાંગ બાળકોને સતત મદદ કરતા રહેવું જોઈએ, જેથી કરીને તેમની જિંદગીમાં વધારે ખુશીનો અહેસાસ થાય છે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો સાથે શાળા પરિવાર પણ જોડાયો હતો અને બાળકો સાથે યાદગાર પળ વિતાવી હતી.

