આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી વિવિધ શાળાઓ ખાતે સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ
તાહિર મેમણ :આણંદ – 27/10/2023- મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને સમગ્ર દેશે વધાવી લીધો છે. દેશના વિવિધ સ્થળોએ સ્વચ્છતાને એક ઝુંબેશ તરીકે ચલાવવામાં આવી રહી છે. ત્યારે સ્વચ્છતા હી સેવાના આ અભિયાનમાં દેશ અને રાજ્ય સહિત આણંદ જિલ્લાના નાગરિકો, અધિકારી-પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના કર્મચારીઓ તથા સંસ્થાઓ, શાળા- કોલેજોના વિદ્યાર્થીઓ પણ સહર્ષ જોડાઇને શ્રમદાન અને સફાઇ કામગીરી કરી રહ્યા છે.
સ્વચ્છતા હી સેવાના અભિયાનને પ્રબળ બનાવવા તેમજ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો અને વિદ્યાર્થીઓને સ્વચ્છતાની જીવનમાં અગત્યતા સમજાવવાના હેતુથી તાજેતરમાં જિલ્લાના આણંદ, બોરસદ અને તારાપુર તાલુકાની શાળાઓમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં આણંદ તાલુકાના આંકલાવડી, મેઘવા ગાના અને સુદાન ગામની શાળાઓ, બોરસદ તાલુકાના વિરસદ અને વડેલી ગામની શાળાઓ તેમજ તારાપુર તાલુકાના મોરજ અને તારાપુર ગામની શાળાઓ ખાતે સફાઇ કામગીરી કરીને સ્વચ્છતા હી સેવાના અભિયાનમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ સહભાગી બન્યાં હતાં.