દિવાળીએ, આપણે અત્યાચાર/ અન્યાય/ શોષણ સામે કટિબદ્ધ થઈએ છીએ ખરાં?
દર વરસે દિવાળી નિમિત્તે આપણે શુભેચ્છાઓની આપલે કરીએ છીએ. આ શુભ ઈચ્છાઓ એટલે શું? આ શુભ ઈચ્છાઓ એટલે તમારી સાથે કોઈ અન્યાય ન થાય/ કોઈ અત્યાચાર ન થાય. તમારું જીવન, સુખ/ શાંતિ/ પ્રેમ/ આદરથી ભર્યું ભર્યું રહે.
દિવાળી એ પ્રતિક છે. 14 વર્ષ વનવાસ ભોગવી, રાવણને હરાવી, સીતા અને લક્ષ્મણ સાથે રામચંદ્રજી અયોધ્યા પરત ફર્યા તેની ઉજવણી એટલે દિવાળી. પરંતુ શું દિવાળીએ આપણે અત્યાચાર/ અન્યાય/ શોષણ સામે કટિબદ્ધ થઈએ છીએ ખરાં? દિવાળીએ આપણે અત્યાચાર/ અન્યાય સામે અવાજ ઉઠાવવા પ્રતિજ્ઞા લઈએ છીએ ખરાં? શું અયોધ્યામાં લાખો દિવા પ્રગટાવવાથી અન્યાયનો અંધકાર દૂર થાય?
દિવાળી એટલે દિપોત્સવ. દિવાળી એટલે પ્રકાશ. અત્યાચાર/ અન્યાય/ શોષણના અંધકારને દૂર કરવા માટે પ્રકાશ પાથરવા સિવાય છૂટકો નથી. આપણે ભલે મોટી ક્રાન્તિ ન કરીએ. પરંતુ આપણે સર્વ પ્રથમ કોઈને અન્યાય ન કરીએ, કોઈનું શોષણ ન કરીએ. પછી આપણે નજર સામેનો અન્યાય દૂર કરીએ. જો આપણે અન્યાય દૂર ન કરી શકીએ તો જે લોકો અન્યાય સામે લડી રહેલ છે, તેની સાથે ઊભા રહીએ. જો આપણે તેની સાથે ઊભા ન રહીએ તો અન્યાય કરનારાઓ/ શોષણ કરનારાઓને સાથ ન આપીએ. આ રીતે દરેક માણસ દિપક બને તો અયોધ્યામાં લાખો દિવા પ્રગટાવવાની જરુર ન પડે ! ક્યાંય પણ અન્યાય એ સર્વત્ર ન્યાય માટે ખતરો છે. સૌથી મોટી કરુણતા બદમાશ લોકો દ્વારા જુલમ-અત્યાચાર-ક્રૂરતા નથી પરંતુ સારા લોકો તેના પર મૌન રહે છે તે છે. પ્રગતિ માટે દિવા ઘી-તેલના નહીં, જ્ઞાનના પ્રગટાવવાની જરુર છે.
સૌથી મોટી સમાજસેવા/ દેશસેવા એ જ છે કે આપણે અન્યાય કરનારાઓ/ શોષણ કરનારાઓની વાહવાહી ન કરીએ, તેમના સમર્થનમાં તાળીઓ ન પાડીએ ! આટલો પ્રકાશ પથરાય જાય તો સુખ/ શાંતિ/ સુરક્ષા/સદભાવની સ્થાપના થયા વિના ન રહે.
સૌ મિત્રોને, દિવાળી અને નવા વર્ષની અઢળક શુભેચ્છાઓ !rs [ફોટો સૌજન્ય : BBC]