JETPURRAJKOT

રાજકોટથી શ્રદ્ધાળુઓને માધવપુરના મેળામાં નિઃશુલ્ક લઈ જવા વહીવટી તંત્ર દ્વારા ૭૦ બસોની વ્યવસ્થા

તા.૨૯ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પહેલી એપ્રિલે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી બસો ઉપડશે : ધાર્મિક-સામાજિક સંગઠનો પણ જોડાશે

પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા પાંચ દિવસીય મેળાનો ચૈત્ર સુદ નવમી, ૩૦મી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. આ મેળો પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સંગમ અને “એક ભારત અને શ્રેષ્ઠ ભારત”ના પ્રતીક સમાન છે, ત્યારે રાજકોટ જિલ્લાના શ્રદ્ધાળુઓને આ રાષ્ટ્રીય મેળામાં નિઃશુલ્ક લઈ જવા જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ ૭૦ બસોની વ્યવસ્થા કરી છે. પહેલી એપ્રિલે સવારે રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી માધવપુર જવા માટે આ બસો ઉપડશે.

રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી વિવેક ટાંકના જણાવ્યા પ્રમાણે, મેળામાં શ્રદ્ધાળુઓને લઈ જવા રાજકોટ શહેરને ૧૦ બસો, ગોંડલ પ્રાંતને ૧૪ બસો, જેતપુર પ્રાંતને ૧૮ બસો, ધોરાજી-ઉપલેટા તેમજ જામકંડોરણા માટે ૨૮ બસો ફાળવવામાં આવી છે. મેળામાં જવા માટે અત્યાર સુધીમાં ૧૪૩૯ જેટલા શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત શહેરની વિવિધ હવેલીઓ, ઈસ્કોન મંદિર, મુરલી મનોહર મંદિર, વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના સભ્યો પણ મેળામાં જવા માટે ઉત્સુક છે. આ માટે જિલ્લાના વિવિધ પ્રાંત અધિકારીઓ દ્વારા વિવિધ સંગઠનો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં આ સંસ્થાઓના અગ્રણીઓએ આ રાષ્ટ્રીય મેળામાં જવા બાબતે ઉત્સાહ દર્શાવ્યો હતો.

મહત્ત્વનું છે કે, માધવપુરના મેળા માટે રાજકોટ શહેર-૧ પ્રાંત અધિકારી શ્રી કે.જી. ચૌધરી તેમજ પ્રાંત-૨ અધિકારી શ્રી સંદીપ વર્માને ફીલ્ડ ડ્યૂટી સોંપવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી વિવેક ટાંકને કંટ્રોલરૂમની જવાબદારી સોંપવામાં આવી છે. શ્રદ્ધાળુઓની મુસાફરીની સુગમતા માટે નાયબ મામલતદારો તેમજ વિવિધ ક્લાર્કને પણ ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત બસ દીઠ સુપરવાઈઝર પણ મુકવામાં આવશે.

Back to top button
error: Content is protected !!