નેત્રંગ ખાતે આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ આવી પહોંચતા ભરૂચ ના સાંસદના હસ્તે ઉષ્માભેર સ્વાગત કરાયુ…

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૨/૧૨/૨૦૨૪
ભારત સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ આદિવાસી જનજાતિય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં તા.૧૫ નવેમ્બરના રોજ ઉજવાયા બાદ તેના ભાગરૂપે પીએમ-જનમન અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનને સાંકળી આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ યાત્રા ૨૦૨૪ આજ રોજ નેત્રંગ ખાતે આવી પહોંચ્ચી હતી. આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ યાત્રા આવી પહોંચતા સાંસદ મનસુખ વસાવા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ૧૫ નવેમ્બરે ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત આદિવાસી સમાજને આરોગ્ય, શિક્ષણ અને રોજગાર સહિતની માળખાકીય સુવિધા ઉપલબ્ધ થાય અને સર્વાંગી થાય તે માટે મહત્વની સેવા આપવા માટે આ ગૌરવરથ આવ્યો છે. સરકારે આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારા સાથે જોડી આદિવાસી સમાજની જીવનશૈલી બદલી છે. ઉમરગામથી અંબાજી સુધી રાજ્યના ૧૧ જિલ્લાના ૫૩ તાલુકામાં આ રથ ફરી રહ્યો છે.
ધરતી આબા જનજાગૃતિ ગામ ઉત્કર્ષ અભિયાન અંગે સાંસદે વધુમાં જણાવ્યું કે, આદીવાસીઓના ઉત્કર્ષ માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ગુજરાત રાજ્યની ગુજરાત પેટર્ન યોજના થકી ગામને કઈ રીતે બેઠું કરી શકાય, કેવી રીતે સમૃદ્ધ બનાવી શકાય તેવા હેતુથી કાર્યરત કરાઈ છે. જેનો લાભ આપણે સૌ લઈ રહ્યાં છે. અને દરેક આદિવાસી ગામના વિકાસ માટે રૂ. ૨૦ લાખની ફાળવણી કરવામાં આવી છે. આજે ગામે ગામ અને ઘરે ઘરે માળખાકીય સુવિધાના કામો તેમજ વ્યકિતગત યોજનાના લાભો આદિવાસી સમાજને મળી રહ્યા છે. ચારે દિશામાં પ્રગતિ થઈ રહી છે.
વધુમાં કહ્યું કે, સરકારે જંગલની જમીનના હકો – અધિકારો આપવાનું કામ કર્યું છે. જમીનના અધિકારો પૂરતું નહી પણ જમીન કેવી રીતે ખેતી લાયક બને તેને પ્રોત્સાહન આપવા ગુજરાત પેટર્ન અને વન વિભાગની પણ યોજનાઓ પણ અમલી છે.
આમ, સરકાર પારદર્શી વહિવટ ચલાવી રહી છે એટલે જ છેવાડના માનવી સુઘી સરકારની યોજનાઓ પહોંચી રહી છે. આપણે સૌ વડાપ્રધાનના વિકસતિ ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ વિકાસની આ વણથંભી યાત્રામાં સહભાગી બનીએ એવો અનુરોધ કર્યો હતો.
આ તકે, ભગવાન બીરસા મુંડાના જીવન કવનમાંથી પ્રેરણા લઈ તેમના બલિદાનને યાદ કરી સમાજને શિક્ષિત, સંગઠીત, વ્યસન મુક્ત થવા સમાજને હાંકલ કરી હતી. વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટીથી આગામી પાંચ વર્ષમાં રૂ. ૭૯ હજાર કરોડ રૂપિયાના ખર્ચે પાંચ કરોડ આદિવાસી વસ્તીને વિકાસ કાર્યોના લાભો આપવામાં આવશે. તો એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાની નેમ સાથે આ અભિયાનને સાચા અર્થમાં સાર્થક બનાવવા સરકારની તમામ પ્રકારની કલ્યાણકારી યોજનાઓ બાકી રેહલા લોકો સુઘી પહોચાડવા પ્રયત્નશીલ બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશેએ પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતું. મહાનુભાવોના હસ્તે રથ ઉપર પુષ્પવર્ષા કરી આવકારવામાં આવ્યો હતો. સ્થળ પર વિવિઘ યોજનાકીય લાભોની જાણકારી માટેના પેમ્પ્લેટની વહેચણી પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગામના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવા, ઉપ પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય વર્ષાબેન દેશમુખ, બાંધકામ સમિતના ચેરમેન રાયસીંગ વસાવા, તાલુકા પંચાયતના સભ્યો, પ્રાંત અધિકારી કે.વી.ગામીત , મામલતદાર રિતેશ કોંકણી, તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ, સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા
હતા.


