અમદાવાદમાં દિવ્યાંગો માટે રૂ. 10 કરોડના AI આધારિત કૌશલ્ય વિકાસ કેન્દ્રનું ભૂમિપૂજન, મહિલા સશક્તિકરણને મળશે નવી દિશા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત અંધજન મંડળ (BPA) ખાતે રૂ. 10 કરોડના ખર્ચે સ્થાપાનાર અત્યાધુનિક ‘AI આધારિત સંસાર કૌશલ્ય વિકાસ કેન્દ્ર’ અને છાત્રાલયનું ભૂમિપૂજન ઉત્સાહભેર સંપન્ન થયું હતું. દિવ્યાંગોને આધુનિક ટેકનોલોજી દ્વારા આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે આ કેન્દ્ર કૌશલ્ય વિકાસ, AI આધારિત ડિજિટલ ટ્રેનિંગ અને મહિલા સશક્તિકરણનો ત્રિવેણી સંગમ સાબિત થશે.
અંધજન મંડળ દૃષ્ટિહીન અને વિકલાંગ વ્યક્તિઓ માટે નવીન તથા જરૂરિયાત આધારિત સેવાઓ માટે જાણીતી સંસ્થા છે. સંસ્થાએ અગાઉથી જ ધોરણ 6થી ઉપરના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ શિક્ષણની વ્યવસ્થા અમલમાં મૂકી છે. હવે આધુનિક યુગની માંગને ધ્યાનમાં રાખીને વસ્ત્રાપુર કેમ્પસ ખાતે અત્યાધુનિક ‘સંસાર કૌશલ્ય વિકાસ એકમ’ સ્થાપવાનો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે.
આ કેન્દ્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ લર્નિંગ, કમ્પ્યુટર આધારિત કૌશલ્ય તાલીમ, રોજગારમુખી કોર્સ તેમજ ઉદ્યોગસાહસિકતા વિકાસ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે. ખાસ કરીને દિવ્યાંગ મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબન બનાવવાના હેતુથી ‘મહિલા સશક્તિકરણ’ કાર્યક્રમને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત નિવાસ સુવિધા ધરાવતું છાત્રાલય પણ તૈયાર થશે, જે દૂરદૂરથી આવતા વિદ્યાર્થીઓને સુવિધા પૂરી પાડશે.
અંધજન મંડળના 75 વર્ષના ગૌરવશાળી ઇતિહાસમાં આ પહેલ ઐતિહાસિક ગણાય છે. સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ કેન્દ્ર દિવ્યાંગ યુવાનોને પરંપરાગત તાલીમથી આગળ લઈ જઈને ડિજિટલ યુગમાં સ્પર્ધાત્મક બનાવશે. AI આધારિત તાલીમ દ્વારા રોજગાર અને સ્વરોજગારની નવી તકો ઊભી થશે.
પ્રોજેક્ટ માટે દાતાઓએ ઉદાર સહયોગ આપ્યો છે. સંસાર ગ્રુપના CEO મુકેશ ઓઝાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તેમણે આ પ્રકલ્પ માટે રૂ. 5 કરોડનું દાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સંસાર ગ્રુપ અગાઉ પણ 1008 વિકલાંગ મહિલાઓના કૌશલ્ય વિકાસ કાર્યક્રમ તેમજ બારેજા ખાતે ‘સંસાર આઈ બેંક’ની સ્થાપનામાં સહયોગી બન્યું છે.
આ ઉપરાંત ઝેન માર્કેટિંગ દ્વારા રૂ. 2 કરોડ, ડો. સુરેન્દ્ર અને જયશ્રીબેન શેઠ દ્વારા રૂ. 2 કરોડ તથા સ્વ. નલિનીબેન પુરોહિતની સ્મૃતિમાં તેમના વસિયતનામાના અમલકર્તા બીનાબેન બક્ષી અને દિનેશ રમણલાલ દ્વારા રૂ. 1 કરોડનું દાન અર્પણ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ પામનારી ઇમારતો પૈકી એકનું નામ ‘સિંહણ કર્ણાવતી હોસ્ટેલ ફોર બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ્ડ વુમન’ રાખવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન BPAના ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, સામાજિક આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વક્તાઓએ આ પ્રકલ્પને દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે માઈલસ્ટોન ગણાવ્યો હતો અને સમાજના તમામ વર્ગોને આવા લોકહિતકારક પ્રયત્નોમાં સહભાગી થવા અપીલ કરી હતી.
આ AI આધારિત કૌશલ્ય વિકાસ કેન્દ્ર શરૂ થતાં દિવ્યાંગ યુવાનો અને મહિલાઓને ગુણવત્તાસભર તાલીમ, રોજગારની તકો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.




