જૂનાગઢ ડે.મેયર, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર, સહિતના નેતાઓને ગઠિયો આભડી ગયો

0
22
વાત્સલ્યમ્ સમાચાર

નેતાઓ પાસેથી 5000થી લઇને 10,000 રૂપિયા પડાવ્યા ગઠિયો કળા કરી ગયો, ધરમ કરતા ધાડ પડી હોવાનો અહેસાસ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : તાજેતરમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં કેમ છો સાહેબ? મજામાં? મને ઓળખ્યો? હું અરવિંદ પટેલ બોલું છું.જૂનાગઢમાં જ રહું છું. 66 કેવીમાં મારો બંગલો છે. હું તમને સારી રીતે ઓળખું છું.ચૂંટણી પ્રચારમાં તમારી સાથે ખુબ દોડધામ કરી હતી. જયશ્રી રોડ પર મારી શ્યામ ટુલ્સ હાર્ડવેરની દુકાન આવેલી છે. અત્યારે અમે કાર લઇને ફેમિલી સાથે અંબાજી આવ્યા હતા. દર્શન કરીને પરત ફર્યા તો કારમાંથી કોઇ પાકિટ, એટીએમ કાર્ડ વગેરે લઇ ગયા છે. કાર લઇને નિકળ્યા રસ્તામાં ડિઝલ પુરૂં થઇ ગયું છે. મારી પાસે પૈસા નથી. ફેમિલી સાથે હેરાન થઇ ગયા છે.
મને થોડી મદદ કરો તો હું ત્યાં આવીને આપને પૈસા પરત આપી દઇશ. આવો ફોન કરીને એક શખ્સે પૂર્વ કોર્પોરેટરથી લઇને વર્તમાન કોર્પોરેટર અને છેક ડેપ્યુટી મેયર પાસેથી પૈસા પડાવી છેતરપિંડી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ રીતે વાકચાતુર્ય વાપરીને આ શખ્સે 9898706561 નંબર પરથી ફોન કરી જૂનાગઢના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પાસેથી 5,000થી લઇને 10,000 રૂપિયા પડાવ્યા છે. વળી, પૈસા મળી જાય પછી ફોન પણ કરે પૈસા મળી ગયા છે.
પૂર્વ કોર્પોરેટર ભૂપત શેઠીયા પાસેથી 5,000, કોર્પોરેટર એભાભાઇ કટારા પાસેથી 9,000, કિરીટ ભીંભા પાસેથી 10,000, ધરમણ ડાંગર પાસેથી 6,000 અને ડે.મેયર ગિરીશ કોટેચા પાસેથી 6000 પડાવ્યા છે. આ ઉપરાંત અનેક કોર્પોરેટર પાસેથી પણ પૈસા પડાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કરેલી ઉલટ તપાસમાં શંકા જતા રકમ મોકલી ન હોય તે નાણાંકીય છેતરપિંડીનો ભોગ બનતા બચી ગયા છે.
નેતાઓએ જણાવ્યું હતું કે અમે તો માનવતાના ધોરણે મદદ કરી હતી. જૂનાગઢનો કોઇ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો આપણી ફરજ બને છે તેને મદદ કરવી. એટલે અમેતો માનવતા દાખવી મદદ કરી હતી.પરંતુ આતો ધરમ કરતા ધાડ પડી તેના જેવો અહેસાસ થાય છે જોકે, આ રીતે 5 કે 10 હજાર પડાવી લે તેમાં અમને કંઇ ફરક નથી પડતો. પરંતુ પરિસ્થિતી એવી પેદા થશે કે જ્યારે કોઇ વ્યક્તિ કે પરિવાર ખરેખર મુશ્કેલીમાં હશે ત્યારે પણ કોઇ મદદ કરવા તૈયાર નહિ થાય. લોકો જલ્દી ભરોસો નહિ કરે. જે લોકો પાસેથી પૈસા પડાવ્યા છે તેમાંથી મોટાભાગના લોકો ભક્તિભાવ વાળા અને લોકોની મુશ્કેલી સાંભળી તુરત મદદ કરવાની ભાવના વાળા લોકો છે તેવું જુનાગઢ મહાનગર ડે મેયર ગિરીશ કોટેચા, એ જણાવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews