તા.૪/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: કેન્દ્ર તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૬૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોના સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વ માટે તમામ પ્રકારે મદદ પૂરી પાડવા હેલ્પલાઇન ૧૪૫૬૭ શરૂ કરવામાં આવી છે. આ માટે સવારના ૮ થી સાંજના ૮ વાગ્યા દરમ્યાન નેશનલ હેલ્પલાઈન ફોર સીનીયર સીટીઝન(એન.એચ.એસ.સી)નો સંપર્ક કરી શકાય છે.
રાજકોટમાં એક અસ્વસ્થ વ્રુદ્ધાની જાણ થતા ૧૦૮ દ્વારા સિંધી કોલોની શાક માર્કેટ પાસેથી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં દર્દીને અશક્તિ હોવાનું જણાતા તેમને મેડિસિન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. દર્દીઓને સહાય આપવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા ખાસ શરૂ કરાયેલ હેલ્પડેસ્ક ટીમના જોકીનાબેન, ચિરાગભાઇ, ઉમેશભાઇ દ્વારા દર્દી સાથે વાતચીત દ્વારા તેઓનું ગામ તેમજ તેમના પુત્રનું નામ મળતાં પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પુત્ર અને પરિવારે વૃદ્ધાને રાખવાની ના પાડી દેતાં એલ્ડરલાઈનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લાના એલ્ડરલાઈન ફિલ્ડ રીસ્પોન્સ ઓફીસર રાજદીપ પરમારના જણાવ્યા અનુસાર આશરે ૭૫ વર્ષની ઉંમરના વસુંધરાબેન(નામ બદલેલ છે.)નામના વૃદ્ધાને પરીવારમાં આશ્રય મળે તે માટે તેઓએ પુત્ર અને પરિવારનું કાઉન્સેલિંગ કર્યું હતું. વૃદ્ધાવસ્થામાં અસ્થિર માતાની સંભાળ રાખવાની તેમની જવાબદારીનું ભાન કરાવ્યું હતું માતાના જીવનના અંતિમ વર્ષોમાં સેવા કરવાની ફરજ સંતાનની હોવાનું સમજાવ્યું હતું અને તેમની અંદરની સજ્જનતા જાગ્રત કરીને નિ:સહાય માતાની સ્થિતિ સામે જોઇ તેમને રાખવા માટે તૈયાર કર્યા હતાં. નિ:સહાય વ્રુદ્ધાને પરીવાર સાથે પુન: મિલન કરાવીને આશ્રય અપાવવાની આ સરાહનીય કામગીરી એલ્ડરલાઇન ટીમ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલની હેલ્પડેસ્ક ટીમ દ્વારા કરવામાં આવી હતી.