પરિક્રમા શરૂ થાય તે પૂર્વે તમામ કચેરી વિભાગોએ ટોપ ટુ બોટમ સુધીની તૈયારી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું
વાત્સલયમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : આગામી તા. ૨૩ નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમામાં લાખો યાત્રિકો આવવાના હોય જિલ્લા વહીવટી તંત્રએ તમામ યાત્રીઓને પરિક્રમાના રૂટ પર કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તૈયારીઓ પૂર્ણ કરી છે અને હવે આવતીકાલથી વિવિધ સેવાઓ માટે ફરજ આપવાનું સોંપાશે.
કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ આજે કલેકટર કચેરી ખાતે પરિક્રમા સાથે જોડાયેલા તમામ વિભાગોના કચેરીઓના વડા સાથે તેમની કચેરીની ટીમ સાથેની કામગીરી સ્ટાફની નિયુક્તિ અને ઉપલબ્ધ સુવિધાઓ વિશેની ઝીણવટ ભરી માહિતી મેળવી હતી.
કલેકટરે ખાસ કરીને મેડિકલ સેવા સાથે જોડાયેલા સ્ટાફને દર અડધો કિલોમીટરે તબીબ ન હોય તો પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહે, પૂરતો દવાનો જથ્થો મળી રહે , રૂટના પડાવ ખાતેના દવાખાનાઓમાં તબીબની સેવા સાથે ઈમરજન્સી સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવા અને રૂટ પર નિયત સ્થળ ના હંગામી દવાખાનાઓ 24 કલાક ચાલુ રહે તે માટે જરૂર પડે વધારે સ્ટાફની નિયુક્તિ કરવા સૂચના આપી હતી.
ગિરનાર પર અંબાજી ખાતે પણ તબીબી સ્ટાફ અને દવા અને પેરા મેડિકલ ના સ્ટાફ સાથે મેડિકલ સેવા ઉપલબ્ધ થશે.
ભવનાથમાં નાકોડા ખાતે આઇસીયુ અને એક ફિઝિશિયન સાથે મેડિકલ સ્ટાફ સેવા આપશે સિવિલ હોસ્પિટલ ખાતે પણ રાઉન્ડ ક્લોક ફિઝિશિયન સાથે પરીકરમાર્થીઓને સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
જંગલમાં રુટ પર અચાનક કોઈને હાર્ટ એટેક આવે અને વ્યક્તિ બેભાન થઈ જાય તો CPRની તાલીમથી તેમનો જીવ બચી જાય તેવા આશય આજે જિલ્લાના અધિકારી કર્મચારીઓએ મેડિકલ તજજ્ઞો પાસેથી સીપીઆરની તાલીમ લીધી હતી અને કઈ રીતે દર્દીને છાતી પર દબાણ આપવું, કેટલી સેકન્ડ આ પ્રક્રિયા કરવી, દર્દીનો રિસ્પોન્સ અને સીપીઆર આપનાર વ્યક્તિએ કેટલી કાળજી લેવી તે તમામ મુદ્દે તજજ્ઞોએ અધિકારીઓને ડેમોસ્ટ્રેશન સાથે માહિતી આપી હતી .આવતીકાલે એનજીઓને પણ આ અંગેની સમજણ આપવામાં આવશે.
રૂટ પર પીવાના પાણીની સુવિધા ,જનરેટર તેમજ પોલીસ વિભાગ દ્વારા પૂરતો બંદોબસ્ત, વન વિભાગ દ્વારા પણ દેખરેખ અને કામગીરી આ ઉપરાંત આગ ન લાગે તે માટે જરૂરી વ્યવસ્થા ઉપરાંત આવશ્યક ચીજ વસ્તુ નો પુરવઠો મળી રહે- દૂધ પૂરતું મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
ચાલુ વર્ષે પરિક્રમામાં સ્વચ્છતા રાખવામાં આવે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ જન જાગૃતિ માટે અભિયાન ચલાવ્યું છે. જેમાં એસટી તેમજ મહાનગરપાલિકા અને અન્ય વિભાગોના કર્મચારીઓ પણ યાત્રિકોને ગિરનાર સ્વચ્છ રહે તે માટે અપીલ કરશે. અન્નાક્ષેત્રો ના સ્વયંસેવકો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ જમણવારનો કચરો પાછળના ભાગમાં ડમ્પિંગ એકત્ર કરે અને જરૂરી દેખરેખ રાખે તે માટે કલેક્ટરશ્રીએ ખાસ અનુરોધ કર્યો છે.
યાત્રાળુઓની પરિવહન સેવા માટે એસટી વિભાગે સેવાઓને વિસ્તારી છે. તેમજ રેલવે વિભાગનું પણ સંકલન છે. ભવનાથથી બસ સ્ટેશન સુધી ૫૦ના બદલે 60 બસ તેમજ વધારાનું એક પીકઅપ સેન્ટર રેલવે સ્ટેશન પર ટ્રેન ના સમય પ્રમાણે ત્યાં બસ પાર્ક રહે તેવું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જુનાગઢ થી ભવનાથ વચ્ચે ટ્રાફિક ન થાય તે માટે જરૂરી પાર્કિંગ વ્યવસ્થાઓ અને લોકોને વાહન ચાલકોને પાર્કિંગની માહિતી મળી રહે તે માટે સંબંધિત એજન્સીઓને સુચના આપવામાં આવી હતી. અન્ન ક્ષેત્ર ,આશ્રમો ,ભંડારા સંસ્થાઓને સમયસર પાસ મળી જાય તે માટે પણ કલેકટરશ્રીએ જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક કલેક્ટરશ્રી પી.જી પટેલ, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા તેમજ મહાનગરપાલિકા, સિવિલ હોસ્પિટલ ,પંચાયત આરોગ્ય શાખા, પાણી પુરવઠા બોર્ડ, પીજીવીસીએલ, વન વિભાગ ,આરટીઓ, એસ.ટી રેલવે, પોલીસ, સહિત કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરિક્રમા દરમ્યાન જંગલમાં અચાનક હાર્ટ એટેક આવે તો યાત્રિક નો જીવ બચી જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
વાત્સલ્યમ્ સમાચાર