તા.19/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર: શહેરના માનવ મંદિર પાસે મૂળચંદ રોડ પર આવેલ મચ્છોનગરના બોર્ડ નજીક ઘરકંકાસમાં પત્ની પર તીક્ષ્ણ છરા વડે તાબડતોબ ૨૦થી વધુ ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયેલા પતિને સુરેન્દ્રનગર શહેર ‘બી’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે વાપી ખાતેથી દબોચી લીધો છે. પોલીસે આરોપીને અદાલતમાં રજૂ કરી ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર, આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુ જેમલભાઈ કાંજીયાને પોતાની પત્ની સોનલબેન સાથે અવારનવાર ઘરકંકાસ ચાલી રહ્યો હતો. આ તકરાર ઉગ્ર બનતાં રાજેશભાઈએ ક્રોધમાં આવી પત્ની સોનલબેન પર તીક્ષ્ણ છરા વડે એકપછી એક ૨૦થી વધુ વાર કરી લોહીલુહાણ કરી મૂકી હતી. ઘાતકી હુમલા દરમિયાન સોનલબેનને બચાવવા વચ્ચે પડેલા ફરિયાદી તેમજ અન્ય સાક્ષી પર પણ આરોપીએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઘવાયેલા સોનલબેનને તાત્કાલિક અસરથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે સુરેન્દ્રનગર શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતાં પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી રાજેશ કાંજીયા વલસાડ જિલ્લાના વાપી ખાતે છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે તુરંત એક ટીમ વાપી મોકલી આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો. પોલીસ ટીમે આરોપીની અટકાયત કરી સુરેન્દ્રનગર લાવી કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. અદાલતે પોલીસની રજૂઆત ગ્રાહ્ય રાખી આરોપીના ૪ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ અને હથિયાર ક્યાંથી મેળવ્યું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










