વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ભુજને પરીક્ષા કેન્દ્ર ન અપાવી શકનાર કચ્છના નેતાઓની નિષ્ક્રિયતા બાદ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના નારા વચ્ચે એસ.ટી. તંત્રે પણ કચ્છ-મોરબીના સાંસદશ્રીના વિસ્તારે પરત ફરવાની એકમાત્ર દહેગામ – નખત્રાણા બસ રવિવારે રદ કરી?
૦૦૦
કચ્છની દીકરીઓમાં તંત્રની કથિત સાજીશ સામે ભારે આક્રોશ સાથે કચ્છના જલારામ સખી મંડળે દહેગામ ડેપો મેનેજર અને ગુજરાત હેલ્પલાઈનમાં રજૂઆત (બગાવત) કરી મોરચો માંડ્યો
અમદાવાદ, તા. ૧૯:
સરકાર તરફથી કચ્છના શિક્ષિત ઉમેદવારોને ૪૦૦ કિલોમીટર દૂર અમદાવાદ સુધી પરીક્ષા આપવા ધકેલવામાં આવે છે, અને ત્યાં પહોંચ્યા બાદ સરકારી તંત્ર (એસ.ટી. નિગમ) ની ઘોર બેદરકારીનો ભોગ બનવું પડે છે. રવિવારે યોજાનાર ટાટ (માધ્યમિક) ની ફાઇનલ પરીક્ષા આપવા અમદાવાદ પહોંચેલી નખત્રાણા તાલુકાની ૪૦ જેટલી દીકરીઓ અને તેમના વાલીઓ સામે રાત્રે અટવાઈ પડવાની નોબત આવી હોવાના સનસનીખેજ પુરાવા સામે આવ્યા છે. રવિવાર ૨૦ સપ્ટેમ્બરના રોજ પરીક્ષા પૂર્ણ થયા બાદ અમદાવાદ ગીતા મંદિરથી રાત્રે ૮:૨૫ વાગ્યે ઉપડતી દહેગામ-નખત્રાણા સ્લીપર બસની ટિકિટ બુક કરાવનાર બહેનોને મેસેજ કરી બસ રદ કરી દેવાના સમાચાર આપી દેવાયા છે. ત્યારે વિદ્યાર્થીનીઓના પડખે ઊભા રહેનારા રતાડીયા જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કરે એસ.ટી. તંત્રના બેવડા વલણ સામે આક્રોશ સાથે રજુઆત કરી છે. સત્તાવાર ઓનલાઇન સિસ્ટમના સ્ક્રીનશોટ દર્શાવે છે કે ૨૦ તારીખે જે બસ “અગમ્ય કારણોસર” રદ કરાઈ છે તે જ બસ ૨૧ સપ્ટેમ્બર (સોમવાર) ના રોજ ઓનલાઇન સંપૂર્ણ ચાલુ દર્શાવે છે અને સીટો પણ ઉપલબ્ધ બતાવે છે.
ઓનલાઈન સિસ્ટમમાં રવિવારનો રૂટ જ ગાયબ કરી દેવો અને સોમવારથી તેને યથાવત બતાવવાનો નિર્ણય કચ્છના એડવાન્સ બુકિંગ કરાવનાર ઉમેદવારો અને વાલીઓને હેરાન કરવા માટે જ લેવાયો હોય એવી શંકા ઉપજાવે છે.
પરીક્ષાના દિવસે જ્યારે અમદાવાદથી અન્ય જિલ્લાઓમાં મુસાફરોનો ધસારો વધારે હોય ત્યારે કચ્છ રૂટની આ નિયમિત બસને કેન્સલ કરીને અન્ય કોઈ વીઆઈપી ડ્યુટી, વિશેષ રૂટ કે અન્ય તાલુકા/જિલ્લાના રૂટ પર સ્પેશિયલ ફાળવી દેવામાં આવી હોય એવી શંકા ઉપજાવે છે.
કચ્છ-મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના માતૃવતન અને જન્મસ્થળ નજીકના નખત્રાણા તાલુકાના અંતરિયાળ અને પછાત ગામડાઓની દીકરીઓ જ્યારે પરીક્ષા પૂરી કરીને અડધી રાત્રે બસ સ્ટેન્ડ પર અટવાવાની સ્થિતિમાં હોય ત્યારે જન પ્રતિનિધિઓની મૌન સ્વીકૃતિ સામે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
દહેગામ ડેપોના મહિલા મેનેજરને આ અંગે વૈકલ્પિક વ્યવસ્થા અંગે પૂછતાં તેમણે અન્ય સાદી બસ મુકાઈ શકે પણ બસનો નંબર કે કંડક્ટરનો સંપર્ક નંબર આપવાની અસમર્થતા દર્શાવી હતી! આટલું જ નહીં રવિવારે રાત્રે સાદી બસ ઉપડશે કે નહીં? એ માટે બસ ઉપડવાના માત્ર અડધા કલાક પહેલા દહેગામ ડેપોના લેન્ડલાઈન નંબર પર પૂછપરછ કરવાની ‘સરકારી સલાહ’ આપીને પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો.
જો બસ ન આવે તો મોડી રાત સુધી બસ આવશે કે નહીં એવી અનિશ્ચિતતા વચ્ચે મોટા શહેરમાં ૪૦ જેટલી અટવાયેલી બહેનો-દીકરીઓ અને વાલીઓની ચિંતાની જવાબદારી આ વખતે કોણ લેશે?
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉની પરીક્ષામાં પણ આવી જ રીતે રાત્રે ૧ વાગ્યા સુધી બસ ન આવતા કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના માજી ચેરપર્સન છાયાબેન ગઢવીએ મધ્યસ્થી કરીને મુંદરાની દીકરીઓ માટે મોડી રાત્રે બસ મેળવી આપી હતી. તેમની લોકો પ્રત્યેની આ કર્તવ્ય નિષ્ઠાને આજે પણ દીકરીઓ સન્માન પૂર્વક યાદ કરે છે.
એસ.ટી. વિભાગની આવી ગંભીર બેદરકારી સામે ત્રણ વાર બહુમતીથી ચૂંટાઈ આવેલા નખત્રાણા પંથકના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, વાહનવ્યવહાર મંત્રીશ્રી અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છની દીકરીઓ માટે હવે શું પગલાં લેશે તે જોવાનું રહ્યું.
કચ્છના તમામ લોક પ્રતિનિધિઓ એક પક્ષના હોવા છતાં પરીક્ષા કેન્દ્ર તો ઠીક પરંતુ દીકરીઓ માટે એક બસ પણ ચાલુ ન રખાવી શકતા હોય, તો આનાથી વધુ શરમજનક પણ શું હોઈ શકે? આ સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com











