TANKARA:ટંકારા: ભીખ માંગવાના બહાને રેકી કરી બંધ મકાનમાં ચોરી કરતી ત્રિપુટીનો પર્દાફાશ, એક ઝડપાયો, ૨.૪૭ લાખના દાગીના સહિત ૩.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત

ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ધોળા દિવસે થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ટંકારા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીના દાગીના વેચવા જઈ રહેલા એક શખ્સને ઝડપી પાડી રૂ. ૨.૪૭ લાખના સોના-ચાંદીના દાગીના તેમજ ગુનામાં વપરાયેલી રિક્ષા સહિત કુલ રૂ. ૩.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ગત તા. ૧૬/૦૯/૨૦૨૬ના રોજ બપોરના સમયે લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં-૭માં રહેતા સુનીલભાઇ મોહનભાઇ રાઠોડના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અજાણ્યા શખ્સો મકાનમાં પ્રવેશી કબાટની તિજોરીમાંથી રૂ. ૨,૪૭,૬૦૦/- ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ફરિયાદ નોંધાતા ટંકારા પોલીસે અણઉકેલ ગુનાનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
દરમિયાન પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીમાં વપરાયેલી સીએનજી રિક્ષા (નંબર GJ-10-T-8165) લઈને એક શખ્સ ચોરીનો મુદ્દામાલ વેચવા માટે મોરબી તરફ જઈ રહ્યો છે. જેના આધારે પોલીસે ટંકારા નગરનાકા પાસેથી વોચ ગોઠવી ગોપાલભાઇ રાયમલભાઇ વાઘેલા (ઉં.વ. ૨૬, રહે. ધ્રોલ) નામના શખ્સને મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.
પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે પોતાની પત્ની ભાવનાબેન તથા સંબંધી સંજયભાઇ વાઘેલા સાથે મળી દિવસ દરમિયાન ભીખ માંગવાના બહાને સોસાયટીઓમાં રેકી કરી હતી અને બંધ મકાનનું તાળું તોડી ચોરીને અંજામ આપ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી ચાંદીના કળા, સાંકળા, લકી તેમજ સોનાનું મંગળસૂત્ર અને પાન બુટ્ટી મળી કુલ રૂ. ૨,૪૭,૬૦૦/- ના દાગીના અને રૂ. ૧,૦૦,૦૦૦/- ની કિંમતની રિક્ષા મળી કુલ રૂ. ૩,૪૭,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જ્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવતી તેની પત્ની ભાવનાબેન અને સંજયભાઈ વાઘેલાને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.











