વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેડૂતો માટેનો હોલ વેપારીઓના કબજામાં?
ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા સન્માન સમારંભમાં તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા શ્રી ગિરિશભાઈ, રિમ્યલબેન, રાજનભાઈ તથા કમળાબેન અને APMCના ચુંટાયેલા નવા ચાર ડિરેક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ, નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી કિસનભાઈ પટેલ તથા ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી શશિનભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રગટેશ્વર ધામના શ્રી પરભુદાદાએ આશીર્વચન આપ્યા હતા.ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોના પ્રશ્નો માટે સતત લડત ચાલુ રાખવાની ખાતરી આપી હતી. ત્યારબાદ નવા ચુંટાયેલા APMC ડિરેક્ટરોએ ખેરગામ APMCની મુલાકાત લેતા ખેડૂતો માટે સરકારની 100 ટકા ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલા હોલમાં વેપારીઓ દ્વારા દુકાનો શરૂ કરવામાં આવી હોવાની સ્થિતિ સામે આવી હતી. આ જોઈ ડિરેક્ટરો ચોંકી ઉઠ્યા હતા અને સવાલ ઉઠ્યો હતો કે ખેડૂતો માટેની સરકારી ગ્રાન્ટથી બનેલી સુવિધાનો ઉપયોગ ખેડૂતો માટે થાય છે કે અન્ય હેતુ માટે? APMC પરિસરમાં ગંદકીની ભરમાર અને શૌચાલયની અસ્વચ્છ સ્થિતિ પણ જોવા મળી હતી. ખેડૂતોના હિત માટે બનાવવામાં આવેલી APMCમાં આવી અવ્યવસ્થા કેમ? સરકારી ગ્રાન્ટનો હેતુ જળવાયો છે કે નહીં અને ખેડૂતો માટેની સુવિધા અંગે જવાબદારી કોની? તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે.નવા ડિરેક્ટરો દ્વારા ખેડૂતોના હિતની સુવિધાઓ ખેડૂતોને જ મળે, APMCમાં સ્વચ્છતા જળવાય અને સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય તે માટે જરૂરી પગલાં લેવાની માંગ સાથે આગામી દિવસોમાં આ મુદ્દાને યોગ્ય મંચ પર ઉઠાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.









