નર્મદા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નાંદોદ તાલુકાના વાવડી ગામે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નર્મદા જિલ્લાની એકદિવસીય મુલાકતે પધાર્યા હતા. દરમિયાન ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત નાંદોદ તાલુકાના વાવડી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વાવડી ગામે વૃક્ષારોપણ અર્થે આવી પહોંચેલા મુખ્યમંત્રીએ ગ્રામજનોને મળીને તેમની સાથે સહજ અને આત્મીય સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ ગ્રામજનોના હાલચાલ પૂછ્યા હતા તેમજ ગામના નાગરિકો સાથે હળવાશભર્યા વાતાવરણમાં સંવાદ કરી તેમની સાથે આત્મીયતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત બાળકો સાથે પણ વ્હાલભર્યો સંવાદ કર્યો હતો. તેમણે બાળકોને મન લગાવીને અભ્યાસ કરવા, શિક્ષણમાં સતત આગળ વધવા અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પ્રેરિત કર્યા હતા.
‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. વધુમાં વધુ વૃક્ષો વાવી તેમનું જતન કરી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ કરવામાં સૌની સહભાગિતા જરૂરી હોવાનું પણ આ કાર્યક્રમ દ્વારા પ્રેરણારૂપ સંદેશ આપવામાં આવ્યો હતો.









