વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા તાલુકાના રતાડીયા (ગણેશવાલા) ગામે આસ્થાનો ત્રિવેણી સંગમ: પવિત્ર શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ અને ગણેશ ચતુર્થી-સંવતસરીની આગોતરી તૈયારી
રતાડીયા(મુંદરા), ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬:
મુંદરા તાલુકાનું રતાડીયા (ગણેશવાલા) ગામ હાલમાં અત્યંત પવિત્ર અને ધાર્મિક વાતાવરણમાં તરબોળ છે. પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ સાથે જ હવે ગામ લોકો ગણેશ ચતુર્થી અને સંવતસરીના પર્વોની ઉજવણી માટે તૈયારી કરી રહ્યા છે.
સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ગામના શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ખાસ કરીને શ્રાવણ માસના છેલ્લા સોમવારે ગામના શિક્ષિકા જાગૃતિબેન પ્રકાશચંદ્ર ઠક્કર પરિવાર દ્વારા લઘુરુદ્રીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય પદે બિરાજેલા દિનેશભાઇ હરિભાઈ જોશીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન વિધિ કરાવી હતી.
શ્રાવણ માસના અંતિમ દિવસ એટલે કે અમાસના દિવસે ગામના વિષ્ણુ સમાજ દ્વારા મહાઆરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંકલન બગીચાવાળા હનુમાન દાદાના પુજારી પ્રકાશભાઈ ગીરીશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, હાલમાં ગામના ગણેશ મંદિર અને શંકર મંદિરના પૂજારી રાજ પ્રકાશનાથ ગુસાઇ દ્વારા ભક્તિ ભાવપૂર્વક પુજા-અર્ચના કરવામાં આવી રહી છે.
પવિત્ર શ્રાવણ માસની પૂર્ણતા સાથે જ ગામમાં ગણેશ ચતુર્થી તેમજ સાર્વજનિક ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા માટે માહોલ સર્જાયો છે.
રતાડીયા ગામના ગણેશ મંદિર ખાતે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે મુલાણી (લોહાણા-ઠક્કર) પરિવાર દ્વારા હોમ-હવનનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગણેશ નગરી ખાતે શ્રી ગજાનંદ મિત્ર મંડળ રતાડીયા દ્વારા ત્રણ દિવસીય ભવ્ય સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ ધર્મપ્રેમી જનતાને સહકુટુંબ પધારી દર્શન તથા પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મૂળ જૈનોના આ ગામમાં આગામી પાંચમના દિવસે સંવતસરીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી થશે, જેમાં સૌ ગામ લોકો એકબીજાને ‘મિચ્છામી દુક્કડમ’ કહીને ક્ષમાપના કરશે. શ્રાવણ પૂરો થયો અને વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. આ તકે ગામ લોકોની આસ્થા છે કે સરકાર પાસે અત્યારથી જ અછતની માંગણી કરવી વહેલી ગણાશે, પણ જો આ જ માંગણી મહાદેવ, મહાવીર અને ગણેશજીના ચરણે ધરીને પૂજા-અર્ચનાથી આર્શીવાદ મેળવાય અને જો ૩-૪ દિવસ ધોધમાર વરસાદ પડી જાય, તો ખેડૂતો, માલધારીઓ અને પશુઓને ૧૨ મહિના માટે મોટી રાહત મળી શકે તેમ છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com









