તારીખ ૧૫/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા તાલુકાની ટીંબાગામ પ્રાથમિક શાળામાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના ભક્તિભાવ, શ્રદ્ધા અને ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી.
શાળા પરિવાર દ્વારા શુભ મુહૂર્તે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિની વિધિવત્ સ્થાપના કરી પૂજન-અર્ચન, મંત્રોચ્ચાર અને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના મુખ્ય શિક્ષક, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ગણેશજીના દર્શન કરી આરતીમાં ભાગ લીધો હતો. જ્યાં ગણેશ સ્થાપના પ્રસંગે વિદ્યાર્થીઓને ભગવાન શ્રી ગણેશજીના જીવન અને સ્વરૂપમાંથી જ્ઞાન,બુદ્ધિ, એકાગ્રતા,વિનમ્રતા અને સારા સંસ્કારો ગ્રહણ કરવાની પ્રેરણા આપવામાં આવી હતી. શાળામાં ભારતીય સંસ્કૃતિ અને તહેવારોનું મહત્વ સમજાવતા આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં પરંપરા, સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યોનું જતન થાય તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન સમગ્ર શાળા પરિસર “ગણપતિ બાપ્પા મોરિયા”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌએ સાથે મળીને ભગવાન શ્રી ગણેશજી પાસે શાળાના તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય, શિક્ષકોના સુખ-સમૃદ્ધિ તથા સમગ્ર સમાજના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે ટીંબાગામ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સતીશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણ તથા શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો.ગણેશ સ્થાપનાના આ પાવન અવસરે શાળામાં ભક્તિ સાથે શિક્ષણ, સંસ્કાર સાથે સંસ્કૃતિ અને એકતા સાથે ઉત્સવનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.









