અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : શામળાજી અને મોડાસાના છાત્રાલયોમાં ફૂડ વિભાગની તપાસ

અરવલ્લી જિલ્લામાં છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.તા. 18 સપ્ટેમ્બર 2026ના રોજ ફૂડ સેફ્ટી ઓફિસર કે.આર. પટેલ દ્વારા શામળાજી અને મોડાસા ખાતે આવેલી ત્રણ સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, શામળાજી, સંસ્કાર કેન્દ્ર કુમાર છાત્રાલય, શામળાજી તથા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, મોડાસાનો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન રસોડાની સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીના સ્ટોરેજ, તૈયાર ભોજન તેમજ કાચા માલની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. કાચા માલ અને તૈયાર ખોરાકના કુલ નમૂનાઓ લેવામાં આવી લેબોરેટરી પરીક્ષણ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લા તંત્ર દ્વારા આગામી દિવસોમાં તમામ આશ્રમશાળા ભોજનાલયો, છાત્રાલયો, ખાનગી મેસ તથા કેટરર્સની પણ તપાસ કરવામાં આવશે.ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણવાએ જણાવ્યું હતું કે, છાત્રાલયોના વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનમાં ગુણવત્તા અથવા સ્વચ્છતાના નિયમોનો ભંગ જણાશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.










