MORBI:મોરબીમાં ‘શ્રી સિદ્ધિવિનાયક કા રાજા’ ગણેશ મહોત્સવમાં ભક્તિનો માહોલ: મોરની થીમ પર બનેલો પંડાલ બન્યો આકર્ષણનું કેન્દ્ર, સેવાના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજાયો


મોરબીમાં છેલ્લા ૧૮ વર્ષથી પરંપરાગત રીતે ઉજવાતા ‘શ્રી સિદ્ધિવિનાયક કા રાજા’ ગણપતિ મહોત્સવમાં આ વર્ષે પણ શ્રદ્ધાળુઓનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશોત્સવ નિમિત્તે દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે, જેના કારણે સમગ્ર પંડાલ ગણપતિ બાપ્પા મોરિયાના નારાઓથી ગુંજી ઉઠ્યો છે.

આ વર્ષે આયોજકો દ્વારા પંડાલને વિશેષ ‘મોરની થીમ’ પર આકર્ષક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આ કલાત્મક ડેકોરેશન દર્શનાર્થીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દૂર-દૂરથી ભાવિકો બાપ્પાના આ મનોહર સ્વરૂપ અને પંડાલની ભવ્યતાને નિહાળવા પહોંચી રહ્યા છે.

ઉજવણીની સાથોસાથ અહીં સામાજિક સેવાનો ઉમદા સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ગણેશ મહોત્સવ અંતર્ગત ગત રોજ સ્વ. મેહુલ ભટાસણાની સ્મૃતિમાં ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનો અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. ધાર્મિક આસ્થાની સાથે સમાજ સેવાના આ સુંદર સમન્વયને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી રહ્યો છે.











