TANKARA:ટંકારાના નેકનામમાં વ્યાજખોરીનો ત્રાસ: ૨૯ લાખ સામે ૨ કરોડ પડાવ્યા છતાં ૫૦ લાખની ઉઘરાણી, આધેડનો આપઘાતનો પ્રયાસ

ટંકારા તાલુકાના નેકનામ ગામે વ્યાજખોરીની ગંભીર અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. દીકરા-દીકરીના લગ્ન તેમજ મકાન રિનોવેશન માટે લીધેલી રકમ સામે ૨૦ ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલી કુલ રૂ. ૨.૦૫ કરોડ પડાવી લીધા બાદ પણ વધુ રૂ. ૫૦ લાખની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા ચાની હોટલ ચલાવતા આધેડે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ મામલે ટંકારા પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, નેકનામ ગામે રહેતા અને ચાની હોટલ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા લિંબાભાઈ માંડાભાઈ લામકા (ઉં.વ. ૪૬)એ પોતાના દીકરા-દીકરીના લગ્નપ્રસંગ અને મકાનના સમારકામ માટે ગામના જ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા દેવુભા ઝાલા પાસેથી કટકે-કટકે ૨૦ ટકાના ઊંચા વ્યાજે રૂ. ૨૯,૭૦,૦૦૦ લીધા હતા. આ રકમના બદલામાં લિંબાભાઈએ આરોપીને મુદ્દલ અને વ્યાજ પેટે અત્યાર સુધીમાં રૂ. ૨,૦૫,૦૦,૦૦૦ (બે કરોડ પાંચ લાખ) જેવી માતબર રકમ ચૂકવી આપી હતી.

આટલી મોટી રકમ વસૂલ કરી લીધા છતાં આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા ઝાલા અને તેના પુત્ર વિક્રમસિંહ રાજુભા ઝાલાએ સંતોષ ન માની વધુ રૂ. ૫૦ લાખની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. આરોપીઓએ ઉઘરાણી બાબતે ગાળો આપી, જો નાણાં નહીં ચૂકવે તો જાનથી મારી નાખવાની સતત ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
વ્યાજખોર પિતા-પુત્રના સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આખરે લિંબાભાઈ લામકાએ ફિનાઇલ પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ભોગ બનનાર લિંબાભાઈની ફરિયાદના આધારે ટંકારા પોલીસે રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા ઝાલા અને વિક્રમસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી











