તારીખ ૨૦/૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના કાછીયાવાડ યુવક મંડળ દ્વારા આયોજિત ભવ્ય ગણેશ મહોત્સવમાં ગણેશ ભક્તિનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશોત્સવના છઠ્ઠા દિવસે “કાલોલ ના મહારાજા” ના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તજનો ઉમટી પડ્યા હતા. જ્યાં કાછીયાવાડ ખાતે યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વિઘ્નહર્તા દેવનો આ ઉત્સવ અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશ પંડાલમાં કરવામાં આવેલી ભવ્ય લાઇટિંગ અને ઝગમગાટ ભરેલા શણગાર વચ્ચે આકર્ષક પ્રવેશ દ્વાર અને સ્થાપિત કરવામાં આવેલી ગણપતિ દાદાની આકર્ષક મૂર્તિ અત્યંત નયનરમ્ય અને દર્શનીય લાગી રહી છે. ત્યારે આજના છઠ્ઠા દિવસે સંધ્યા આરતી અને દર્શન માટે સ્થાનિક રહીશો સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી “કાલોલ ના મહારાજા” ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંડળના કાર્યકરો દ્વારા દર્શનાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે.










