ઉત્તરાખંડમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સ્થિતિ બગડી રહી છે અને અત્યાર સુધીમાં 12થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 2 સપ્ટેમ્બરના રોજ દેહરાદૂન તેમજ નૈનીતાલ અને બાગેશ્વર જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. અન્ય જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડું અને તીવ્રથી અતિ તીવ્ર વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે લોકોને નદીઓ અને નાળાઓની નજીક ન જવાની તેમજ વીજળીના કડાકા થતા હોય ત્યારે સુરક્ષિત સ્થળોએ રહેવાની સલાહ આપી છે.
આ દરમિયાન, નૈનીતાલ, બાગેશ્વર અને દેહરાદૂન માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના બાકીના જિલ્લાઓ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની સંભાવના છે.









