6 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વિકાસની સાથે આરોગ્ય પણ સર્વોચ્ચ પ્રાથમિકતા: મંત્રી પ્રવિણભાઈ માળીએ નિયમિત સ્વાસ્થ્ય તપાસ પર મૂક્યો વિશેષ ભાર.ગ્રામીણ નાગરિકોને ઘરઆંગણે જ ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળશે: ડીસા તાલુકામાં બે નવા પેટા આરોગ્ય કેન્દ્રો લોકાર્પિત.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં છેવાડાના નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના સંકલ્પ સાથે, ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તેમજ વાહનવ્યવહાર વિભાગના રાજ્યમંત્રી શ્રી પ્રવિણભાઈ માળી દ્વારા ડીસા તાલુકાના પરબડી (માલગઢ) અને શમશેરપુરા ગામ ખાતે નવનિર્મિત ‘પેટા આરોગ્ય કેન્દ્રો’ (આયુષ્યમાન આરોગ્ય મંદિર ) નું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામીણ નાગરિકોને ઘરઆંગણે જ પ્રાથમિક અને તાત્કાલિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુસર આ બંને આરોગ્ય કેન્દ્રો લોકસેવા અર્થે ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં એક તરફ તળાવ, વન વિસ્તાર અને બીજી તરફ ગૌચર માટે વાવવામાં આવેલા ઘાસ સહિતની કુદરતી સંપત્તિઓનું સંવર્ધન કરી એક મોડેલરૂપ પરિસર વિકસાવવામાં આવી રહ્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિકાસની સાથે લોકોના આરોગ્યને પણ પ્રાથમિકતા આપી કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, ઓબેસિટી તેમજ હૃદયરોગના જોખમોને ધ્યાનમાં રાખી નિયમિત આરોગ્ય તપાસ અને જનજાગૃતિના અભિયાનો યોજવા જોઈએ. મંત્રીશ્રીએ ખાસ કરીને મહિલાઓ સહિત દરેક પરિવારના સભ્યોને આરોગ્ય તપાસ કરાવવા પ્રોત્સાહિત કરી જિલ્લા કક્ષાની આરોગ્ય સેવાઓ સાથે સૌના સહયોગથી આગળ વધવા તેમજ પરિસરમાં થયેલા વૃક્ષારોપણને વધુ હરિયાળું બનાવી પર્યાવરણ સંરક્ષણને જનઅભિયાન બનાવવાની અપીલ કરી હતી.કાર્યક્રમ દરમિયાન તાલુકા આરોગ્ય અધિકારી શ્રી પ્રકાશભાઈ ચૌધરી, સ્થાનિક સરપંચશ્રીઓ, પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આરોગ્ય વિભાગના કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ આરોગ્ય સ્ટાફને સેવાની ભાવના સાથે કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે ગ્રામજનોએ ગામમાં સુવિધાયુક્ત આરોગ્ય કેન્દ્ર ઉપલબ્ધ કરાવવા બદલ મંત્રીશ્રી તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.









