પંચમહાલ ગોધરા
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ સામે કલમ ૫૭ હેઠળની શિક્ષાત્મક કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં આખરી હુકમ બહાર પાડવામાં વહીવટી તંત્ર દ્વારા અકારણ વિલંબ કરવામાં આવતો હોવાનો મામલો સામે આવ્યો છે. સરપંચ હરેન્દ્રસિંહ રામસિંહ રાઉલજી સામે નાણાંકીય ગેરરીતિઓ અને સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપો છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલ સમક્ષ ગત ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ અંતિમ સુનાવણી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં હજુ સુધી સત્તાવાર હુકમ ન થતાં જાગૃત નાગરિક ભુપતભાઈ ડાભીએ રાજ્યના વિકાસ કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક દરમિયાનગીરી કરવા માંગ કરી છે.
અરજદારની રજૂઆતમાં જણાવાયું છે કે, કાયદાકીય પ્રક્રિયા મુજબ સરપંચને પોતાના બચાવ માટે અગાઉ ત્રણ મુદતો આપી દેવામાં આવી છે. અંતિમ સુનાવણી પૂર્ણ થયા બાદ સાત દિવસમાં હુકમ બહાર પાડવાની વાત હતી. પરંતુ, સમયમર્યાદા વીતી જવા છતાં જિલ્લા પંચાયત કચેરી દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરાઈ નથી. ફરિયાદી જ્યારે કચેરીની રૂબરૂ મુલાકાત લે છે ત્યારે તેમને માત્ર ગોળ-ગોળ જવાબો આપીને વધુ સમય પસાર કરવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્રના આ પ્રકારના ઢીલા વલણથી અધિકારીઓ અને સરપંચ વચ્ચે કોઈ આંતરિક મિલીભગત હોવાની પ્રબળ શંકાઓ અરજદાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નોંધનીય છે કે, સરપંચ દ્વારા પંચાયતના સરકારી નાણાં પોતાની જ માલિકીની પેઢીમાં જમા કરાવ્યા હોવાના ગંભીર આક્ષેપો પ્રાથમિક તપાસમાં સાબિત થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા હુકમ કરવામાં જેટલો વિલંબ કરવામાં આવે છે તેટલો જ સરકારી તિજોરીને વધુ નુકસાન પહોંચાડવાનો ખુલ્લો દોર અપાઈ રહ્યો હોવાનો આક્ષેપ થયો છે. સરકારી નાણાંનું રક્ષણ કરવા અને પારદર્શક વહીવટના હિતમાં સરપંચને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરતો આદેશ બહાર પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.





