તા.૦૭.૦૯.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડામાં દબાણ હટાવવાની કામગીરીમાં ભેદભાવના આક્ષેપોથી સ્થાનિકોમાં ભારે રોષ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા મથકે માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરાયેલી દબાણ હટાવવાની કામગીરી વિવાદોના વમળમાં ફસાઈ છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં વ્હાલા-દવલાની નીતિ અપનાવાતી હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને વિરોધ ફાટી નીકળ્યો છે.મળતી માહિતી મુજબ, લીમખેડામાં માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓની સીધી હાજરીમાં, મામલતદાર, ટીડીઓ સહિતના વહીવટી સ્ટાફ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીનો દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જોકે, આ કામગીરી શરૂ થતાં જ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.૧૨ મીટરના ડીમાર્કેશનના નિયમો નેવે મુકાયા?સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નિયમ મુજબ ૧૨ મીટરના ડીમાર્કેશનને આધારે કાર્યવાહી કરવાની હતી, પરંતુ તંત્ર દ્વારા આ નિયમનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. તંત્રએ માત્ર નાના ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓ કે રોજગાર મેળવતા લોકોના દબાણો પર જ જેસીબી ફેરવી દીધું છે, જ્યારે વગદાર અને મોટા માથાઓના ગેરકાયદેસર દબાણો સામે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.સ્થાનિકોમાં ભારે આક્રોશદબાણ હટાવવાના નામે માત્ર ગરીબોને જ ટાર્ગેટ કરીને મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. આ ઉપરાંત લોકોનું એવું પણ કહેવું છે કે અગાઉ પણ દબાણો દૂર કરાયા બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા પહોળા કરવાની કે અન્ય કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. તંત્રની આ ભેદભાવભરી અને એકતરફી કાર્યવાહીને પગલે સમગ્ર પંથકમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.







