તા.૦૭.૦૯.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Fatepura:ફતેપુરા પોલીસ મથકે ગણપતિ મહોત્સવને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ફતેપુરા: આગામી તા. 14 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાનાર ગણપતિ મહોત્સવને અનુલક્ષીને ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ગણપતિ આયોજકો, શાંતિ સમિતિના સભ્યો તથા ડી.જે. સંચાલકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.બેઠક ફતેપુરા પોલીસ મથકના પી.આઈ. પી.એ. જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં પી.એસ.આઈ. આર.વી. રાઠોડ સહિત પોલીસ સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી.બેઠક દરમિયાન ગણપતિ મહોત્સવ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં યોજાય તે માટે આયોજકોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવા, મૂર્તિની ઊંચાઈ, ડી.જે.ના સંચાલન તથા જાહેર વ્યવસ્થા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.ખાસ કરીને ગણપતિ વિસર્જન દરમિયાન સાવચેતી રાખવા, નદી-તળાવ કે અન્ય વિસર્જન સ્થળે સુરક્ષાના નિયમોનું પાલન કરવા, ભીડનું યોગ્ય સંચાલન કરવા તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજકો અને કાર્યકરોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.પોલીસ તંત્ર દ્વારા ગણપતિ મહોત્સવ અને વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌના સહકારની અપીલ કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત ગણપતિ આયોજકો, શાંતિ સમિતિના સભ્યો અને ડી.જે. સંચાલકોએ પોલીસ તંત્રને જરૂરી સહકાર આપવાની ખાતરી આપી હતી.







