દહેગામથી મજુરી કરી ઘરે આવેલા પતિએ પત્ની સાથે ઝઘડો કરી.
3 માસના માસૂમ પુત્રને કૂવામાં ફેંકી દીધો….
કૂવો ઉલેચીને બાળકની લાશને બહાર કઢાઇ
રિપોર્ટર….અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર તાલુકાના ઝાલદડા ગામે કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં માત્ર 3 મહિના પહેલાં જન્મેલા બાળકને તેના જ જન્મદાતા પિતાએ પિયર જવા બાબતે પત્ની સાથે થયેલી તકરારમાં જીવતો કૂવામાં ફેંકી દઈ કરૂણ મોત નીપજાવ્યું છે. શંકા અને આવેગમાં અંધ બનેલા પિતાના આ રાક્ષસી કૃત્યથી સમગ્ર મહિસાગર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઝાલદડા ગામના ઝાલા ફળિયામાં રહેતા આશીષભાઈ રમેશભાઈ ભુરીયાના લગ્ન 1 મે 2025ના રોજ હિનાબેન સાથે થયા હતા. લગ્ન બાદ પતિ આશીષ દહેગામ નજીક આવેલી પાટીદાર કંપનીમાં મજુરી કામ કરતો હોઇ હિનાબેન પણ તેની સાથે ત્યાં રોકાયા હતા.
ગત 13 જૂન 2026ના રોજ હિનાબેને સંતરામપુરની હોસ્પિટલમાં સીઝરથી એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો હતો. જેનું નામ ‘લવ્યાંશ’ રાખવામાં આવ્યું હતું. સંતાનના જન્મ બાદ હિનાબેન પિયર અને સાસરીમાં આવ-જા કરતા હતા. આ દરમિયાન દહેગામથી ઘરે પરત ફરેલા આશીષે પત્ની પિયરમાં વધારે સમય કેમ રોકાય છે તે બાબતે ઝઘડો શરૂ કર્યો હતો.
રવિવારે બપોરે હિનાબેન પોતાના 3 માસના પુત્ર લવ્યાંશને સ્તનપાન કરાવી રહ્યા હતા ત્યારે જ આશીષે આવેગમાં આવી બોલાચાલી કરી હતી કે, “તું આટલા બધા દિવસ પિયરમાં કેમ રોકાય છે. તું મારે જોઈતી નથી, કાલે તને દહેગામ લઈ જઈશ.” ત્યારબાદ બપોરે આશરે ત્રણ વાગ્યાના સુમારે હિનાબેન બાળકને બહાર ખાટલામાં સૂવડાવીને કપડાં લેવા ઘરમાં ગયા હતા. એ જ વખતે અંધ બનેલા આશીષે ખાટલામાંથી માસૂમ લવ્યાંશને ઊંચકી લીધો અને ઘર નજીક આવેલા કૂવા તરફ દોટ મૂકી હતી.
હિનાબેન અને તેમના સાસુ બૂમાબૂમ કરી પાછળ દોડ્યા તે પહેલાં તો નિર્દયી પિતાએ માસૂમ બાળકને ઊંડા કૂવામાં ફેંકી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને કૂવામાં તપાસ કરી હતી. પરંતુ માસૂમ લવ્યાંશ પાણીમાં ડૂબી ગયો હતો. ઘટના અંગે ગામના સરપંચ અને પોલીસને જાણ કરાતા સંતરામપુર પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
કૂવામાંથી એન્જિન વડે પાણી બહાર કાઢ્યા બાદ 3 મહિનાના લવ્યાંશનો મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી સાથે ભારે કરૂણંતિકા છવાઈ ગઈ હતી. માતા હિનાબેન ભુરીયાની ફરિયાદના આધારે પતિ આશીષ સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે.









