ઝગડિયા વનવિભાગ દ્વારા દિપડાઓની હાજરી વારા સ્થળોએ સતત દેખરેખ રાખવામાં આવી રહીછે અને આવા સ્થળોએ પાંજરા પણ ગોઠવી દેવાયા
ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના વણાંકપોર-રાજપારડી પટ્ટામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓની વધતી જતી સક્રિયતાને કારણે સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ છવાયો હતો. ત્રણ દિવસ પૂર્વે વણાંકપોર ગામ નજીક આવેલા એક સ્થાનિક પ્લાન્ટ પાસે ખોરાક અને પાણીની શોધમાં એક સાથે બે દીપડાઓ ધસી આવ્યા હતા. પ્લાન્ટના સીસીટીવી (CCTV) કેમેરામાં બંને દીપડાઓની મુક્તપણે લટાર મારતી હિલચાલ કેદ થઈ જતાં અને તેના વાયરલ ફૂટેજને પગલે સ્થાનિક ગ્રામજનો,ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
વણાંકપોર અને રાજપારડી વચ્ચેના વિશાળ સીમ વિસ્તારમાં અવારનવાર દીપડાઓ દ્વારા ગાયો, બકરાં સહિતના પાલતુ પશુઓ પર હુમલા કરી તેમનો શિકાર કરવાના બનાવો વધી રહ્યા હતા. વર્તમાન ખેતીની મોસમ દરમિયાન નીંદણ અને રાત્રિ પિયત જેવા મહત્વના કામકાજ માટે ખેતરોમાં જવું પડતું હોવાથી ખેત-મજૂરો અને ખેડૂતો પોતાની સુરક્ષાને લઈને ભયભીત બન્યા હતા. જેને પગલે ગ્રામજનો અને પશુપાલકોએ વનવિભાગ સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક પાંજરા ગોઠવી બંને દીપડાઓને ઝડપી પાડવા માંગ કરી હતી.ગ્રામજનોની રજૂઆતને તાત્કાલિક ધ્યાને લઈ ઝગડિયા વનવિભાગના આરએફઓ ચેતનાબેન માછીના સીધા માર્ગદર્શન હેઠળ વનવિભાગની ટીમે વણાંકપોરની સીમમાં દીપડાઓની અવરજવર વાળાઅને હાજરી વારા સ્થળે વ્યુહાત્મક રીતે પાંજરું ગોઠવ્યું હતું. વનવિભાગની ટીમે હાથ ધરેલી ભારે જહેમત અને સતત દેખરેખ બાદ આખરે સીસીટીવીમાં દેખાયેલા બે દીપડા પૈકીનો એક દીપડો સફળતાપૂર્વક પાંજરે પુરાયો હતો.સીસીટીવીમાં કેદ થયેલો દીપડો ઝડપાઈ જતાં વણાંકપોર અને આસપાસના ગ્રામજનો તેમજ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, હજુ પણ બીજો દીપડો સીમ વિસ્તારમાં મુક્તપણે ફરી રહ્યો હોવાની શક્યતાને પગલે વનવિભાગ દ્વારા બીજા દીપડાને પણ વહેલી તકે પાંજરે પૂરવા માટેની કામગીરી યથાવત રાખવામાં આવી છે.અને ઝગડિયા વનવિભાગ દ્વારા દિપડાઓની હાજરી વારા સ્થળોએ સતત દેખરેખ રાખવામાં આવી રહીછે અને આવા સ્થળોએ પાંજરા પણ ગોઠવી દેવાયા હોવાનું જાણવા મળ્યું હતું
ઈરફાન ખત્રી
રાજપારડી





