MORBI મોરબીના રફાળેશ્વર મહાદેવના પૌરાણિક લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું
પીપળે પાણી પાઈ પિતૃતર્પણ સાથે ભક્તિ અને મેળાની મોજ માણતા હજારો પરિવારો ઉમટ્યા
મોરબી: મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવના પૌરાણિક લોકમેળામાં શ્રદ્ધા અને લોકસંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મોરબી શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય પંથકમાંથી હજારો પરિવારો મેળામાં ઉમટી પડતાં સમગ્ર મેળા પરિસરમાં માનવ મહેરામણ છવાઈ ગયો હતો.

રફાળેશ્વર મહાદેવ પ્રત્યેની આસ્થા સાથે અનેક શ્રદ્ધાળુઓએ પીપળે પાણી પાઈ પિતૃતર્પણ કર્યું હતું. પરિવાર સાથે આવેલા લોકોએ મહાદેવના દર્શન કરી ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો. પૌરાણિક પરંપરા સાથે જોડાયેલા આ મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિની જીવંત ઝલક પણ જોવા મળી હતી.મેળામાં બાળકો અને યુવાનો માટે ચકડોળ, આકાશઝૂલા સહિતની વિવિધ રાઇડ્સ આકર્ષણનું કેન્દ્ર બની હતી. જ્યારે કાઠિયાવાડી ખાનપાનની વિવિધ વાનગીઓનો સ્વાદ માણવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વેપારીઓના સ્ટોલ અને રમકડાંની દુકાનો પર પણ દિવસભર ભીડ જોવા મળી હતી. ભક્તિ, પરંપરા અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન રફાળેશ્વરનો લોકમેળો મોરબી પંથકની લોકસંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાને ઉજાગર કરતો બન્યો હતો.









