તા.12/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

IG નિર્લિપ્ત રાયે સુરક્ષા આયોજનની સમીક્ષા કરી; CM સહિત VIP ની હાજરીને પગલે તંત્ર એલર્ટ

IG નિર્લિપ્ત રાયે સુરક્ષા આયોજનની સમીક્ષા કરી; CM સહિત VIP ની હાજરીને પગલે તંત્ર એલર્ટ, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા પવિત્ર ત્રિનેત્રેશ્વર મહાદેવના આંગણે આગામી 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક સુરક્ષા છાવણી ઊભી કરવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓ અને દેશ- વિદેશના પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર પરિસરમાં ૨૫૦૦ થી વધુ પોલીસકર્મીઓ અને સુરક્ષા જવાનો તૈનાત રહેશે. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે લીધી મુલાકાત
મેળાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા આયોજનની સમીક્ષા કરવા માટે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે ખાસ તરણેતરની મુલાકાત લીધી હતી. તેમણે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને સુરક્ષા પ્લાનનું નિરીક્ષણ કર્યું હતું. તદ્ઉપરાંત, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પથિક એપ, સીસીટીવી કેમેરા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર ચેકિંગ હાથ ધરી કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ જેમાં ૧૧ ડીવાયએસપી, ૩૩ પીઆઈ, ૧૦૦ પીએસઆઈ ઉપરાંત હોમગાર્ડ અને જીઆરડીના જવાનો ફરજ પર રહેશે. તમામ મહત્વના પોઈન્ટ્સ પર તૈનાત પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરાથી સજ્જ હશે. સમગ્ર મેળાનગરી પર સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. મેળામાં રાઈડ્સ અને ચકડોળ ચલાવતા સંચાલકો માટે પણ પોતાની રાઈડ પાસે ફરજિયાત CCTV કેમેરા લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના રાજકીય નેતાઓ અને વિશિષ્ટ મહાનુભાવોની સંભવિત હાજરીને પગલે પ્રોટોકોલ મુજબ વિશેષ સુરક્ષા પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી છે. મેળા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક તથા ભીડ નિયંત્રણ સુચારુ રીતે થાય તે માટે સુરેન્દ્રનગર એસ.પી. પ્રેમસુખ ડેલું, લિંબડી ડીવાયએસપી વિશાલ રબારી, ચોટીલા ડીવાયએસપી એસ.એસ. ભાદોરીયા, એલસીબી પીઆઈ ભાવેશ સિંગરખિયા અને થાનગઢ પીઆઈ વિ.યુ.ગડરિયા સહિતના અધિકારીઓએ વિગતવાર આયોજન અંગે ચર્ચા-વિચારણા કરી હતી.









