WAKANER:વાંકાનેરમાં સરપંચના પુત્રો પર જીવલેણ હુમલો: ગેરકાયદે પ્રવૃત્તિઓની રજૂઆતનું મનદુઃખ રાખી ૫ શખ્સો તૂટી પડ્યા

વાંકાનેર તાલુકાના જાલસિકા-વસુંધરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ધીરૂભાઈ ડાંગરના પુત્રો પર જૂની અદાવતમાં ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ગામમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, બોગસ પ્રમાણપત્રો અને ખનિજ ચોરી સામે સરપંચ દ્વારા કરાયેલી રજૂઆતોનું મનદુઃખ રાખી આ હુમલો કરાયો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.

દૂધ મંડળી પાસે ઘેરીને કર્યો હુમલો પોલીસ મથકે નોંધાયેલી વિગતો અનુસાર, સરપંચ ધીરૂભાઈ ડાંગરની શોધખોળ માટે નીકળેલા તેમના પુત્રો જીવનદીપભાઈ અને એભલભાઈ જ્યારે વસુંધરા ગામે દૂધ મંડળી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓએ તેમને ઘેરી લીધા હતા. આરોપીઓએ બેફામ ગાળો ભાંડી કુહાડી, લોખંડના પાઈપ તેમજ લાકડીઓ જેવા જીવલેણ હથિયારો વડે બંને ભાઈઓ પર હુમલો કરી દીધો હતો.
ગંભીર ઈજાઓ થતાં રાજકોટ ખસેડાયા
આ હુમલામાં જીવનદીપભાઈને માથાના ભાગે ગંભીર ઘા વાગતાં હેમરેજ થયું છે તેમજ હાથ-પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે ૫ શખ્સો સામે નોંધ્યો ગુનો હોસ્પિટલમાં ભાનમાં આવ્યા બાદ જીવનદીપ ધીરૂભાઈ ડાંગર દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે:લાલાભાઈ સામંતભાઈ સરૈયા – વિરમ સામંતભાઈ સરૈયા -સુરેશ રેવા સરૈયાગોપાલ લાલા સરૈયા-શૈલેષ રેવા સરૈયા વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.










