પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં અંબાજી દર્શનાર્થે જતા અંબાભક્તો અને પદયાત્રીઓની સેવા માટે કાર્યરત પરંપરાગત ‘અન્નપૂર્ણા વિસામો’ આ વર્ષે તેના ૨૪મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂક્યો છે. છેલ્લાં ૨૩ વર્ષથી સતત સેવા આપતો આ વિસામો શહેરાની ઉજ્જવળ સેવાભાવી પરંપરાનું એક અનન્ય પ્રતિક બની રહ્યો છે.‘સેવા એ જ સાધના’ના ભાવ સાથે કાર્યરત આ અન્નપૂર્ણા વિસામા ખાતે દર્શનાર્થે નીકળેલા પદયાત્રીઓ માટે ચા-નાસ્તો, ગરમ ભોજન, રાત્રિ રોકાણ તથા આરામની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત લાંબી પગપાળા યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને થતા થાક કે નાની-મોટી શારીરિક તકલીફો માટે પ્રાથમિક સારવાર અને જરૂરી દવાઓની સુવિધા પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.સ્થાનિક સેવાભાવી નાગરિકો તેમજ વિવિધ સામાજિક સંગઠનોના અભૂતપૂર્વ સહયોગથી આ સેવા યજ્ઞ નિરંતર ચાલી રહ્યો છે. વિસામા ખાતે આવતા તમામ પદયાત્રીઓનું ભાવપૂર્વક સ્વાગત કરીને તેમની સુવિધાઓનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેથી ભક્તો પોતાની આગળની યાત્રા સુખરૂપ પૂર્ણ કરી શકે.










