MORBI:મોરબીના મણિમંદિર ખાતે ૬૫૦૦ દીવડાઓથી ઝળહળશે ‘આશિર્વાદના દિવડા’ મહોત્સવ: મંત્રી કાંતિભાઈ અમૃતિયા રહેશે ઉપસ્થિત

મોરબીના મણિમંદિર ખાતે જિલ્લાકક્ષાનો ‘આશિર્વાદના દિવડા’ કાર્યક્રમ તા.૧૭ના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઇ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાશેઃ ૬૫૦૦ દિવડા – દિપમાળા પ્રગટાવાશેઃ સાધ્ય આરતીમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ – મહાનુભાવો જોડાશે

‘સેવા સંકલ્પ અભિયાન’ના સુચારૂ આયોજન માટે મોરબી કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્ગક્ષસ્થાને બેઠક યોજાઇઃ મોટી સંખ્યામાં લોકોને જોડાવા કલેકટરશ્રીનો અનુરોઘ
ભારતના પ્રધાનમંત્રીશ્રીના ૨૫ વર્ષના સેવાકાર્યની સાથે ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા મોરબી જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી થશે ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ
૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમિયાન અનેક જનકલ્યાણકારી મહાઅભિયાનો યોજાશેઃ સેવા સેતુ, આરોગ્ય કેમ્પ, મતદાન જાગૃતિ, રક્તદાન કેમ્પ, સામૂહિક શ્રમદાન, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોમાં વ્યાપક જનભાગીદારી થકી જન કલ્યાણનો હેતુ
૨૦૨૬- દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્ર અને જનતાની સેવામાં સમર્પિત ૨૫ વર્ષના સફળ સેવાકાર્યો તેમજ ‘વિકસિત ભારત ૨૦૪૭’ની ભવ્ય સંકલ્પના અન્વયે મોરબી જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ અને વિવિધ જનકલ્યાણકારી સેવા પ્રવૃત્તિઓના કાર્યક્રમોના આયોજન થનારા છે. જેના સુચારૂ આયોજન માટે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્ગક્ષસ્થાને એક બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાકક્ષાનો ‘આશિર્વાદના દિવડા’ કાર્યક્રમ તા.૧૭ના સાંજે ૬.૩૦ વાગ્યે મણિમંદિર ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાનાર છે તેની તૈયારીઓની સમીક્ષા કલેકટરશ્રી દ્વારા કરાઇ હતી. આ કાર્યક્રમમાં ૬૫૦૦ દિવડા તેમજ દિપમાળા પ્રગટાવવામાં આવશે. સાધ્ય આરતીમાં મહાનુભાવો પણ જોડાશે. મોરબી જિલ્લાના વિવિધ નગરો અને ગોમોમાં પણ ‘આશિર્વાદના દિવડા’ કાર્યક્રમ થશે. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ જોડાશે.
આ તકે કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને આ સેવાકીય અભિયાન અંતર્ગત યોજાનારા આરોગ્ય અને જનકલ્યાણ, સ્વચ્છતા – શ્રમદાન સહિતના જનકલ્યાણકારી કાર્યક્રમો સઘન જનઆંદોલનનું સ્વરૂપ આપવા જણાવ્યુ હતું. મોરબી શહેર અને તાલુકાઓમાં આરોગ્ય કેમ્પ અને રક્તદાન શિબિરો, નિષ્ણાત તબીબી તપાસ, ગંભીર રોગોનું નિદાન, અંગદાન પ્રતિજ્ઞા તેમજ મહિલા આરોગ્ય અને એનેમિયા જાગૃતિ જેવા વિવિધ આરોગ્ય વિષયક કાર્યક્રમો સુચારૂ રીતે આયોજન કરવા જણાવ્યુ હતું. 
કલેકટરશ્રીએ પર્યાવરણ જાળવણી અન્વયે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સામૂહિક શ્રમદાન, પ્લાસ્ટિક મુક્ત જાગૃતિ, શાળાઓમાં કચરાના વર્ગીકરણની તાલીમ, ‘એક પેડ મા કે નામ’ હેઠળ વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ ઝુંબેશના આયોજનો જાણી જરૂરી સુચનો કર્યા હતા. તેઓશ્રીએ શિક્ષણ અને યુવા શક્તિના વિકાસ માટે શિક્ષણ વંચિત બાળકોને શાળા સુધી પહોંચાડવાની વિશેષ પહેલ, કારકિર્દી માર્ગદર્શન સત્રો, શાળાઓમાં ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધાઓ, નમો સેવા ગાથા નાટકો, મેગા યોગ-ધ્યાન શિબિરો, વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સાક્ષરતા અને પરંપરાગત રમતો સાથે ‘ફિટ ઈન્ડિયા’ સત્રો યોજાશે. આ ઉપરાંત, માર્ગ સલામતી જાગૃતિ, સાયબર રાત્રિ ગ્રામસભાઓ, ‘નશામુક્ત ભારત’ ઝુંબેશ, દિવ્યાંગ સાધન-સહાય, વૃદ્ધાશ્રમ મુલાકાત, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા ‘વોકલ ફોર લોકલ’ પ્રદર્શન તથા શહીદોના સન્માનમાં ‘એક શામ શહીદો કે નામ’ જેવા દેશભક્તિના કાર્યક્રમોનું સઘન આયોજન કરવા સુચના આપી હતી. જિલ્લા વહિવટી તંત્ર વતી કલેકટરશ્રીએ આ તમામ મહાઅભિયાનોમાં સ્વેચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો, વેપારી મંડળો અને સ્થાનિક જનપ્રતિનિધિઓ, નાગરિકો, યુવાનોને આ સામાજિક મહાઅભિયાનમાં ઉત્સાહભેર જોડાવા અનુરોધ કર્યો છે.










