તા.15/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

પિતાની છત્રછાયા ગુમાવનાર અસહાય બાળકોના વહારે આવ્યું જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક સુરેન્દ્રનગરના GIDC વિસ્તારમાં કચરો વીણીને પેટનો ખાડો પૂરવા મજબૂર બનેલા ચાર અસહાય બાળકોના જીવનમાં સરકારી તંત્ર અને સામાજિક સંવેદનાના સંગમથી એક નવો સૂર્યોદય થયો છે. ફેક્ટરીમાં મજૂરી કરતા પિતાનું આકસ્મિક અવસાન થતાં અને માતાએ બીજું ઘર વસાવી લેતાં આ ચારેય બાળકો પોતાના અશક્ત દાદા-દાદી સાથે અત્યંત વિષમ પરિસ્થિતિમાં દિવસો વિતાવી રહ્યા હતા. આ કરુણ પરિસ્થિતિ પર સ્થાનિક જીમ સંચાલક અને સમાજસેવી મહાવીરસિંહની નજર પડતાં તેમણે માનવતા દાખવીને બાળકો માટે ભોજન અને આશ્રયની પ્રાથમિક વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ તેમણે સમગ્ર બાબતની જાણ વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ જે. ભરવાડને કરી હતી. પ્રાંત અધિકારીએ આ કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના ધ્યાન પર મૂકતાં તેમણે ત્વરિત અને સંવેદનશીલ અભિગમ અપનાવ્યો હતો. કલેક્ટરએ સ્પષ્ટ સૂચના આપી હતી કે બાળકોના આવાસ, ભોજન, આરોગ્ય અને શિક્ષણમાં સહેજ પણ વિલંબ ન થવો જોઈએ. જરૂર પડે તો અડધી રાત્રે પણ સંપર્ક કરીને અપડેટ આપવાની છૂટ આપી વહીવટીતંત્રને સક્રિય કર્યું હતું. વહીવટીતંત્ર અને સામાજિક ક્ષેત્રે લેવાયેલા મુખ્ય પગલાં વહીવટીતંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરીને બાળકોના બેંક ખાતા ખોલાવવામાં આવ્યા અને ‘પાલક માતા-પિતા સહાય યોજના’ હેઠળ ફોર્મ ભરાવીને આર્થિક ટેકો સુનિશ્ચિત કરાયો. બાળકો અને દાદા-દાદી માટે સુરક્ષિત ભાડાના મકાનની વ્યવસ્થા કરવામાં આવી. સુરેન્દ્રનગરના સેવાભાવી અગ્રણી રવિરાજસિંહ પરમારના વિશેષ સહયોગથી બાળકોના ભવિષ્યની સુરક્ષા અર્થે રૂ. ૧.૨૫ લાખનું ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું. કચરો વીણતા બાળકોને નિયમિત શાળાએ મોકલીને તેમના હાથમાં પુસ્તકો સોંપવામાં આવ્યા. જિલ્લા વહીવટીતંત્રની ત્વરિત કાર્યવાહી અને ભામાશાઓના આર્થિક સહયોગના સુમેળથી આજે આ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે અને તેઓ ઉજ્જવળ આવતીકાલ તરફ ડગ માંડી રહ્યા છે.સેવાભાવીઓ,









