MORBI:મોરબીના સરદાર નગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમો ઉજવાયા

હાલમાં સમગ્ર દેશભરમાં ગણપતિ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી ભક્તિભાવથી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેરની કન્યા છાત્રાલય રોડ પર આવેલી સરદાર નગર સોસાયટીમાં 5 ફ્લેટ સમૂહ દ્વારા ગણપતિ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે. ખાસ કરીને શિક્ષિત લોકો પણ આનો ભોગ બનતા હોય સાયબર અવેરનેસ, વિવિધ ડિજિટલ સાઇટ, મોબાઇલ એપ્લિકેશન, Ai ટૂલ્સ ના ઉપયોગ દરમિયાન રાખવાની સાવધાની આ ઉપરાંત ઘટના બન્યા બાદ સાયબર પોલીસનો સંપર્ક કરવા જેવી બાબતોને લઈને મોરબી જિલ્લા પોલીસના સાયબર સેલના PSI શ્રી ગૌરાંગભાઈ ગઢવી અને સહ કર્મચારી શ્રી અમિતભાઈ પટેલ દ્વારા વિષય પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. સાથે સાથે સનાતન હિન્દુ ઇકોનોમિક સમિતિના સભ્યો દ્વારા સનાતન સંસ્કૃતિ, સંસ્કાર, સુરક્ષા, સહયોગ અને સમાજ જાગરણના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બાળકો માટે પણ ખાસ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરા આધારિત પ્રશ્ન મંચનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.. સાથે સાથે સહભાગી બાળકોને વડીલો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ત્રિવિધ કાર્યક્રમોના અંતિમ દિવસે સામુહિક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું સાથે સમગ્ર કાર્યક્રમની સફળતા માટે ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોએ જહેમત ઊઠાવી હતી.









