MORBI:મોરબી જિલ્લા કક્ષાનો શિક્ષક દિન ઉજવણી કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાયો

MORBI:મોરબી જિલ્લા કક્ષાનો શિક્ષક દિન ઉજવણી કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાયો

જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો, ધોરણ ૧૦ અને ૧૨માં જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ તથા ૧૦૦ ટકા પરિણામ મેળવનારી શાળાનું સન્માન કરાયું

“શિક્ષકો ધારે તો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકે છે” : મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા

મોરબી, તા. ૫ સપ્ટેમ્બર: મોરબી જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણીનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શારદા સ્કૂલ, આર્યાવર્ત સંકુલ, માળિયા રોડ ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

 

કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨માં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં ૧૦૦ ટકા પરિણામ મેળવનારી શાળાઓ તેમજ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું પણ સન્માન કરી તેમની શૈક્ષણિક સેવાઓને બિરદાવવામાં આવી હતી. જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક મેળવનાર શ્રી નરેન્દ્રભાઈ કાલરિયાએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.

 

આ પ્રસંગે શ્રમ અને રોજગાર

મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લો છેલ્લા ચાર વર્ષથી ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામમાં રાજ્યમાં પ્રથમ ક્રમે આવી રહ્યો છે, જે ગૌરવની બાબત છે. શિક્ષકો ધારે તો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. વિદ્યાર્થીઓના માત્ર શૈક્ષણિક ઘડતર પૂરતું સીમિત ન રહેતા તેમને ભારતીય સિવિલ સર્વિસ સહિતની વિવિધ સેવાઓમાં આગળ વધવા માટે પ્રેરણા અને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. વિદ્યાર્થીઓ સારા શિક્ષણની સાથે સારા નાગરિક બને અને વ્યસનથી દૂર રહે તે માટે પણ સતત જાગૃતિ અને અભિયાન ચલાવવાની જરૂર છે.

 

આ તકે જિલ્લા કલેકટરશ્રી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, તેમનું શિક્ષણ દેશના વિવિધ રાજ્યોમાં થયું છે અને દરેક રાજ્યમાં શિક્ષકો પાસેથી મળેલા શિક્ષણે તેમના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. આજના આધુનિક એ.આઈ.ના યુગમાં શિક્ષકોએ પણ સતત નવી બાબતો શીખતા રહેવું જોઈએ અને બદલાતા સમય સાથે શિક્ષણ પદ્ધતિમાં જરૂરી બદલાવ લાવવો જોઈએ.

 

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષકોએ વિદ્યાર્થીઓને માત્ર ભણાવવાના નથી, પરંતુ તેમનું સર્વાંગી ઘડતર કરવાનું છે. બાળકોમાં નૈતિકતા, સમયપાલન અને પારિવારિક મૂલ્યોનું સિંચન કરવામાં આવે તો સમાજમાં આપોઆપ ગુનાખોરીમાં ઘટાડો થઈ શકે છે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કમલેશ મોતાએ ઉપસ્થિત સૌને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ શિક્ષક દિન જેમની યાદમાં ઉજવવામાં આવે છે તેવા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન અને કાર્યોને યાદ કરી મોરબી જિલ્લાના શિક્ષણ ક્ષેત્રની સિદ્ધિઓ અંગે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

 

આ પ્રસંગે પ્રાચાર્યશ્રી સંજય મહેતા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ પ્રા શિક્ષણાધિકારી મહેશ ગાંભવા ઇઆઇ ધર્મિષ્ઠાબેન હિતેષભાઇ સરદવા સતીષભાઈ ધનજા વગેરે આયોજન વ્યવસ્થા સંભાળી હતી

11
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો