અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા નજીક લાલપુર ધામ ખાતે ભાદરવી બીજે શ્રદ્ધાળુઓનું ઉમટી પડતું મહેરામણ ભજન-કીર્તન અને ફલાહારનું વિશેષ આયોજન
અરવલ્લી જિલ્લામાં આજે ભાદરવી સુદ બીજના પાવન પર્વે લોકઆસ્થાના કેન્દ્રસમા શ્રી રામદેવજી ભગવાનના મંદિરોમાં શ્રદ્ધાળુઓનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું હતું. મોડાસા નજીક આવેલા સુપ્રસિદ્ધ ‘શ્રી રામદેવજી ભગવાન રામ દરબાર – લાલપુર ધામ’ ખાતે ભાદરવી બીજ નિમિત્તે વહેલી સવારથી જ બાબાના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

પવિત્ર દિવસ નિમિત્તે મંદિર દ્વારા દર્શન વ્યવસ્થા તેમજ વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતું મંદિર પરિસરમાં દિવસ દરમિયાન ભાવિકો દ્વારા ભજન-કીર્તન કરી ભક્તિમય વાતાવરણ ઊભું કરાયું હતું. આ ઉપરાંત બીજનો ઉપવાસ ધરાવતા તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ સ્વરૂપે ફલાહારની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોએ રામદેવજી ભગવાન ના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી.લાલપુર રામ દરબાર ખાતે આગામી ભાદરવી સુદ નોમના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય ‘નેજા ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન રામદેવજીનો પવિત્ર નેજો (ધજા) શિર પર ધારણ કરી, ડી.જે. અને ઢોલ-નગારાના તાલે નાચતા-ગાતા લાલપુર ધામ ખાતે પહોંચશે.નોમના દિવસે પણ મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ભજન-કીર્તન અને સત્સંગનો કાર્યક્રમ યોજાશે, તેમજ દૂર-દૂરથી આવતા તમામ પદયાત્રીઓ અને ભક્તો માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ ધાર્મિક મહોત્સવમાં વધુમાં વધુ ભક્તોને દર્શન તથા પ્રસાદનો લાભ લેવા મંદિર સમિતિ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









