ગુજરાત વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ બિલ-2026’ બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે, ત્યારે હવે ગુજરાતમાં મોલ, કેફે, રેસ્ટોરન્ટ વગેરેને 24×7 ખુલ્લા રાખી શકાશે. રાજ્યમાં ઉદ્યોગો અને વ્યવસાયો માટે કાયદાકીય પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાના હેતુથી આ વિધેયક લાવવામાં આવ્યું છે. ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે ગૃહમાં આ બિલ અંગેની વિગતો રજૂ કરી હતી. આ વિધેયક હેઠળ રાજ્યના 5 અલગ-અલગ કાયદાઓની 12 કલમોમાં સુધારા કરવામાં આવ્યા છે.
રજિસ્ટ્રેશન માટે સેલ્ફ-ડિક્લેરેશન (સ્વ-પ્રમાણીકરણ) ની નીતિ અપનાવાશે. નિયમો અને શરતોને આધીન રહીને દુકાનો અને વેપારી સંસ્થાઓ અઠવાડિયાના કોઈ પણ દિવસે 24 કલાક (24×7) ચાલુ રાખી શકાશે.
ફાયર સેફ્ટીના ધોરણોને બિલ્ડિંગના પ્રકાર અને જોખમ આધારિત બનાવવામાં આવ્યા છે, જેથી બિનજરૂરી કમ્પ્લાયન્સ ખર્ચ ઘટશે., સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ‘રાઇટ ટુ બિઝનેસ’નું માળખું મજબૂત કરાશે. વીજળી, જીઆઈડીસી, સહકારી અને સિંચાઈ જેવા વધુ 8 કાયદાઓને આ ફેસિલિટેશન ફ્રેમવર્ક સાથે જોડવામાં આવ્યા છે., અન્ય રાજ્યોમાં નોંધાયેલા તબીબો ગુજરાતમાં સેલ્ફ-ડિક્લેરેશનના આધારે ઝડપથી રજિસ્ટ્રેશન મેળવી શકશે., નિયત સમયમર્યાદામાં સરકારી સેવા કે ફરિયાદનો નિકાલ નહીં થાય, તો ટેકનોલોજીની મદદથી મામલો આપમેળે ઉચ્ચ અધિકારી સમક્ષ ‘ઓટો-અપીલ’ થઈ જશે.
ઉદ્યોગ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બિનજરૂરી કાયદાકીય જટિલતાઓ દૂર કરીને અને પરવાનગીની પ્રક્રિયામાં ભૌતિક સંપર્ક ઘટાડીને ટેકનોલોજી આધારિત શાસન પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સુધારાઓથી રાજ્યમાં રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી થશે.










