દેડિયાપાડા સરકારી કોલેજમાં ‘વિશ્વ આદિવાસી અધિકાર દિવસ’ની ગરિમાપૂર્ણ ઉજવણી,



શિક્ષણ, બંધારણીય અધિકારો અને જળ-જંગલ-જમીનના સંરક્ષણ અંગે માર્ગદર્શન અપાયું.
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
દેડિયાપાડા: સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા ખાતે કોલેજના આચાર્યશ્રી ડૉ. અનિલાબેન કે. પટેલના માર્ગદર્શન હેઠળ એસ.ટી./એસ.સી. સેલ તથા સામુદાયિક સેવા ધારાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ‘૧૩ સપ્ટેમ્બર – વિશ્વ આદિવાસી અધિકાર દિવસ’ની ઉત્સાહભેર અને ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પ્રિન્સીપાલ ડૉ. અનિલાબેન કે. પટેલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજનો ઈતિહાસ, પરંપરા અને સંસ્કૃતિ અત્યંત ગૌરવશાળી છે. આધુનિક યુગમાં શિક્ષણ સાથે બંધારણીય અધિકારો અંગેની સભાનતા કેળવવી જરૂરી છે અને તેના થકી જ સમાજનો સર્વાંગી વિકાસ શક્ય બનશે.
આ પ્રસંગે IQAC કો-ઓર્ડિનેટર ડૉ. રમેશભાઈ કે. વસાવા, ડૉ. મનદીપ ગામીત, પ્રો. હીનાબેન ચૌધરી, ડૉ. બરખાબેન વળવી, શ્રી સંજયભાઈ પરમાર તેમજ ડૉ. રિતેશભાઈ પરમારે પ્રાસંગિક વક્તવ્યો આપ્યાં હતાં. વક્તાઓએ આદિવાસી સમાજના અધિકારો, સમૃદ્ધ સંસ્કૃતિના જતન, જળ-જંગલ-જમીનના મહત્વ તેમજ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આદિવાસી સમાજના સર્વાંગી ઉત્થાન અંગે વિસ્તૃત વિચારો રજૂ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રા. કિંજલબેન ગામીતે કર્યું હતું, જ્યારે અંતે આભારવિધિ પ્રા. કવિતાબેન વસાવા દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં કોલેજના આશરે ૩૫ અધ્યાપકો અને ૮૦ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની સક્રિય ભાગીદારીથી વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.










